આ સંપ્રદાયના આદ્યપુરુષ ભાણસાહેબના બૂંદશિષ્ય એટલે કે પુત્ર અને શિષ્ય હતા. ખીમસાહેબની માતાનું નામ ભાણબાઈ હતું અને તેઓ જ્ઞાતિએ લોહાણા હતા. જન્મ અને વતન : વારાહી (તા.સાંતલપુર‚ જિ.બનાસકાંઠા), ભક્તિસ્થળ અને ગુરુગાદી : દરિયાસ્થાન-રાપર (તા.રાપર, જિ.કચ્છ). આ પ્રદેશના ખારવાઓ (માછીમાર સમાજ)માં એમણે ‘રવિ-ભાણ સંપ્રદાય’નો પ્રચાર-પ્રસાર કર્યો હતો. આથી તેઓ ‘ખલક દરિયા ખીમ’ અને ‘દરિયાપીર’ નામોથી પણ લોકમાં પ્રખ્યાત છે. તેમનું સૌથી મોટું અને મહત્ત્વનું પ્રદાન તો મેઘવાળ ગરવા બ્રાહ્મણ પરિવારના ત્રિકમ સાહેબને દીક્ષા આપીને રવિ-ભાણ સંપ્રદાયમાં વાડીના સાધુઓની તેજસ્વી સંત કવિઓની આખી પરંપરાના બીજ રોપવાનું કરેલું કાર્ય છે. જેમાંથી ત્રિકમસાહેબ‚ ભીમસાહેબ‚ જીવણસાહેબ વગેરે જેવાં એકએક્થી ચડિયાતાં અનેક સંતરત્નો આપણને મળ્યાં છે. તેમણે ઈ.સ. 1711માં દરિયાસ્થાન રાપર (જિ. કચ્છ) મુકામે જગ્યા બાંધી હતી, એ જ સ્થળે ઈ.સ. ૧૮૦૧માં સમાધિ લીધી. તેમણે હિન્દી-ગુજરાતી-કચ્છીમાં નાની-મોટી અનેક રચનાઓ આપી છે. જેમાં ‘ચિંતામણી’/ખીમદાસ કૃત ‘ચેતામણી’ (હિન્દીમાં) નામની દીર્ઘ રચના ઉપરાંત કાફી‚ ગરબી‚ આરતી શીર્ષકો તળેની રચનાઓ અને વિવિધ પ્રકારનાં ભજનોનો સમાવેશ થાય છે. તેમની રચનાઓમાં ભક્તિ, સંતસાધનાના સિદ્ધાંતો તથા નીતિબોધનું આલેખન થયેલું છે.