Amrut Ghayal Profile & Biography | RekhtaGujarati

અમૃત ઘાયલ

અગ્રગણ્ય ગઝલકાર, ગઝલને તળપદી ગુજરાતી ભાષા સાથે જોડી આપનાર સર્જક

  • favroite
  • share

અમૃત ઘાયલનો પરિચય

ગુજરાતી ગઝલકારોમાંનું એક અગ્રગણ્ય નામ. તેઓએ તમામ શૈક્ષણિક તાલીમ રાજકોટમાં લીધી હતી. સરધારમાં જન્મ બાદ સાત ધોરણ સુધીનું શિક્ષણ, ત્યાર બાદ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ટ્રિકનું શિક્ષણ લીધું હતું. તેમણે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી બી.. પ્રથમ વર્ષનો પણ અભ્યાસ કર્યો હતો.

વ્યાવસાયિક કારકિર્દીના ભાગરૂપે તેઓએ 1939થી 1949 સુધી પાજોદ દરબાર શ્રી ઇમામુદ્દીન મુર્તઝાખાન બાબી ઉર્ફેરુસ્વામઝલૂમીના રહસ્યમંત્રી તરીકે કામગીરી બજાવી. 1949થી લઈને નિવૃત્તિ સુધી એટલે કે 1973 સુધી તેઓએ જાહેર બાંધકામ ખાતામાં હિસાબનીશ તરીકે ગુજરાતની અલગ અલગ જગ્યાઓ, જેમ કે સાવરકુંડલા, ભુજ, આદિપુર, અને અમદાવાદમાં ફરજ બજાવી અને રાજકોટમાં નિવૃત્ત જીવન ગાળ્યું.

પાજોદ દરબારમાં તેમનો સંપર્ક ઉર્દૂ ગઝલકારજોશ મલીહાબાદી’, ‘જિગર મુરાદાબાદી, નવલકથાકાર કૃષ્ણચંદર, તથા ફિલ્મગીતકારભરત વ્યાસસાથે થયો અને તેમના સત્સંગથી તેમની કાવ્યકેળવણી તથા કાવ્યસર્જનપ્રવૃત્તિને વેગ પણ મળ્યો.

તેમનો પ્રથમ ગઝલસંગ્રહશૂળ અને શમણાં1954માં પ્રકાશિત થયો હતો. સંગ્રહ વિશે નિરંજના વોરા નોંધે છે કે,તેમાં સાદી અને સરળ બાનીમાં હૃદયના કોમળ ભાવો અસરકારક રીતે અભિવ્યક્ત થયા છે. પ્રિયમિલનની આતુરતા અને વિરહની વેદનાને વ્યક્ત કરતી ગઝલોમાં સૂફી રહસ્યવાદનો સ્પર્શ છે. મુશાયરા દ્વારા લોકપ્રિય બનેલી કેટલીક ગઝલોમાં સ્વર-વ્યંજનની સંવાદી યોજનાથી સધાયેલું લય-માધુર્ય નોંધપાત્ર છે. ફારસીને બદલે ગુજરાતી ભાષાની વિવિધ લઢણો અને રોજિંદી બોલચાલની ભાષાના શબ્દોના વિનિયોગથી ગુજરાતી રૂપ ધારણ કરતી ગઝલો પરંપરાથી અલગ પડે છે.”

‘રંગ’ (1960), ‘રૂપ’ (1967), ‘ઝાંય’ (1982), ‘અગ્નિ’ (1982),ગઝલ નામે સુખ’ (1984), ‘આશ્ચર્ય વચ્ચે’ (1992), અને પશ્ચાત્’ (1994) તેમના અન્ય સંગ્રહો છે. તેમની સમગ્ર કવિતાઓનો સંચય ‘આઠોં જામ ખુમારી’ 1994માં પ્રકાશિત થયો હતો. ઉપરાંત, તેમણે ગઝલ : કલા અને કસબ’ (1997) શીર્ષકથી વિવેચન પ્રકાશિત કર્યું હતું, તથાછીપનો ચહેરોનું પણ પ્રકાશન કર્યું હતું.

તેમની ગઝલ વિશે વિવેચક દક્ષા વ્યાસ નોંધે છે કે,‘ઘાયલની બાની અત્યંત સ્વચ્છ અને પ્રાસાદિક છે. રદીફ–કાફિયાનું એમની પાસે અપાર વૈવિધ્ય છે. પ્રાસ અને ભાષા એમને સહજસિદ્ધ છે. જોકે, તેથી પ્રાસમોહ કે વાગ્વિલાસમાં કેટલીક વાર તણાઈ જવાય છે.” ‘ઘાયલના સર્જનને સામાજિક પરિપ્રેક્ષ્યમાં મૂકી આપતાં સ્વામી આનંદ નોંધે છે કે,રોજિંદા જીવનની જહેમતો, સમસ્યાઓ તેમ હરખ–વિષાદ જોડે ભરી ભરી ઝિંદાદિલીથી બાખડવાનાં નરવાં જોમ શોધનારી ઘાયલજીની કવિતા અનેક બળ્યાંઝળ્યાં, નાસીપાસ હૈયાંને સંજીવનીરૂપ નીવડતી મેં જોઈ છે.”

તેમના સમયની ઉર્દૂ–ફારસી શબ્દોની પકડમાં ફસાયેલી ગુજરાતી ગઝલને તેમણે ગુજરાતીપણું બક્ષ્યું. તેમણે તળપદા ગુજરાતી શબ્દોનો બખૂબી ઉપયોગ ગઝલમાં કર્યો. તેમની છંદની શુદ્ધતા, હાથવગી કહેવતસ્વરૂપ અને રૂઢિપ્રયોગ જેવી ભાષાનો ઉપયોગ, તથા તેમના રદીફનો અંત્યપ્રાસ તેમની ગઝલની વિશિષ્ટતા છે. બંધારણીય પાસાંઓ ઉપરાંત તેમની ગઝલમાં રજૂ થતાં નાજુક સરળ ભાવો અને તેમની અસરકારક અભિવ્યક્તિ તેમની ગઝલને લોકમન સુધી લઈ ગઈ છે. ઉપરાંત મુશાયરામાં તેમની રજૂઆત પણ ખૂબ લોકપ્રિય હતી.

સ્વામી આનંદ સાથેની મુલાકાતમાંઘાયલ પોતે પોતાની કાવ્યબાની વિશે ખુલાસો આપતાં કહેલું કે,સાક્ષરી ચીલાઓની ધૂંસરી સ્વીકારતાં ગુજરાતી, હિંદી, ફારસી, સંસ્કૃત કશાનો ટાળો કર્યા વગર જે કોઈ ભંડોળનો શબ્દ હૈયે ચડે કે ઊગે તેને જોતરીને ધસ્યો જાઉં છુંજનતાની જીભે વસે તે શબ્દ સાચો અને નરવોપ્રજાની જીભે ચડી જાય ને ચલણી થાય તે સાચી ભાષા અને તેનામાં ઊતરે એટલાં એનાં સાચાં જોમ અને ખમીર…”

ગુજરાતી ગઝલમાં તેમના યોગદાન બદલ અમૃત ઘાયલને ગુજરાત સાહિત્ય સભા તરફથી 1993નો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.