timir pathray chhe to roshninun maun bole chhe - Ghazals | RekhtaGujarati

તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે

timir pathray chhe to roshninun maun bole chhe

આદિલ મન્સૂરી આદિલ મન્સૂરી
તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે
આદિલ મન્સૂરી

તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,

મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.

મિલનની ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે

શરમભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે.

વસંતો કાન દઈને સાંભળે છે ધ્યાનથી એને,

સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે.

ગરજતાં વાદળોના ગર્વને ઓગાળી નાખે છે,

ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે છે.

ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,

કે જ્યારે પ્રેમની દીવાનગીનું મૌન બોલે છે.

સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને ‘આદિલ’,

જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.

સ્રોત

  • પુસ્તક : મળે ન મળે (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સર્જક : આદિલ મન્સૂરી
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1996