Famous Gujarati Ghazals on Prakrutik Saundarya | RekhtaGujarati

પ્રાકૃતિક સૌંદર્ય પર ગઝલો

પ્રાકૃતિક સૌંદર્ય એટલે

વૃક્ષો, છોડવા અને ઘાસથી સર્જાતી હરિયાળી, પર્વતો, ટેકરીઓ અને મેદાનોનું નયનરમ્ય દૃશ્ય, નદી, ઝરણાં, તળાવ, સાગરના આંખો ઠારતાં દર્શન, પશુ–પંખીઓના ટોળાં – એ બધું જ જે માનવસર્જિત નથી. પ્રાકૃતિક સૌંદર્ય મનને સુખ આપે છે, કેમકે આપણે પણ પ્રકૃતિનો હિસ્સો છીએ અને પ્રકૃતિ પોતાના અંતર્ગત સિદ્ધાંત અનુસાર આપણને ટકી રહેવાનું, વિકસવાનું, ખિલવાનું બળ આપે છે. પ્રકૃતિના આ ગુણ દરેક કલામાં કલાકાર ઝીલતા રહે છે, સાહિત્યમાં પણ. પ્રાકૃતિક સૌંદર્યથી કવિતાઓ છલકાતી રહે છે. ગદ્ય શોભતું રહે છે. અશ્વિની ભટ્ટની નવલકથાઓમાં પ્રકૃતિનું એટલું જીવંત વર્ણન હોય છે કે વાચકની સ્મૃતિમાં એ ચિત્રની જેમ રહી જાય છે. નવલકથા ‘ઓથાર’માં રાજસ્થાન સ્થિત ભેડાઘાટના વર્ણનને કારણે એ સ્થળે સહેલાણીઓની સંખ્યા વધી હતી. કેટલાંક કાવ્યના અંશ જુઓ : વહાણું વાયું, પંખી આવ્યાં ઘઉં ને જુવાર ચણવા દો ભાઈ, ચણનારાંને ચણવા દો. મોગરો, ગુલાબ, માલતી, પારુલ ફૂલડાં રંગીન ખીલવા દો ભાઈ, ખીલનારાંને ખીલવા દો. ( વહાણું વાયું, પંખી આવ્યાં / અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ) ** રામ-સીતાનો ત્યાગ કરે છે એ પ્રસંગ વર્ણવતા એક કાવ્યનો અંશ : કુસુમ વૃક્ષ, સુનૃત્ય મયૂર ને, કવલ દર્ભ તણાં હરિણો ત્યજે; પ્રકૃતિ માત્ર સતી રુદને રડે, વન અનંત ધરી મૃદુતા દ્રવે. (સીતા પરિત્યાગ / ગોરધાનદાસ ડાહ્યાભાઈ ‘એન્જિનિયર’) અને આ ગિરનાર વિષેના કાવ્યનો અંશ : પિપીલિકાનાં ગણ જેમ જાય; અનન્ત લોકો ઉરમાં સમાય; પાતાલ ભેદે પદ, ઊર્ધ્વ–મૂર્ધા, વિરાટનાં દર્શન આજ લીધાં. ( ગિરનાર યાત્રા / ગજેન્દ્રરાય ગુલાબરાય બુચ) ગદ્ય સાહિત્યમાં પાત્રોના મનોભાવ કે કથાનકની પરિસ્થિતિના પ્રતીક બને એ પ્રમાણે પ્રકૃતિના વર્ણન રજૂ થતાં રહ્યાં છે.

.....વધુ વાંચો