Famous Gujarati Metrical Poem on Nirdoshta | RekhtaGujarati

નિર્દોષતા પર છંદોબદ્ધ કાવ્ય

નિર્દોષતા બે ભિન્ન અર્થ

સૂચવે છે : એક તો દોષરહિત, નિષ્કલંક હોવું અને બીજો અર્થ બાળક હોવું. કેમકે બાળક સ્વાર્થ સમજતું ન હોવાથી કોઈ હાનિકારક કે દોષપૂર્ણ કામ નથી કરતું. આ બંને અર્થ સાહિત્યમાં વપરાતા રહ્યા છે. બલકે દોષરહિત વ્યક્તિ માટે ‘બાળક સમાન નિર્દોષ’ જેવા વાક્યનો પણ પ્રયોગ થાય છે. સાહિત્યકૃતિમાં કોઈ નિર્દોષ પાત્ર પર જ્યારે આળ કે કલંક મૂકાય છે ત્યારે નાટ્યતત્ત્વ સર્જાય છે કે જે–તે પાત્ર હવે પોતાનું નિર્દોષપણું કઈ રીતે સિદ્ધ કરશે! રામાયણમાં પોતાની નિર્દોષતા સાબિત કરવા સીતાએ અગ્નિપરીક્ષા આપવી પડી હતી. ગુલાબદાસ બ્રોકરની વાર્તા ‘નીલીનું ભૂત’ વાર્તામાં નાયક શશી અન્ય પાત્ર નીલીના અવસાન બાદ એની અનુચિત ટીકા કરી દોષિત ઠેરવે છે અને પછી પોતે કરેલ અયોગ્ય વાતનો પશ્ચાતાપ ભૂતાવળ થઈ એને કનડે છે. સમાજ હોય કે સાહિત્ય સ્ત્રીઓ મોટા ભાગે નિષ્કલંક હોવા છતાં દોષી તરીકે વગોવાઈને દુઃખી થતી રહી છે એ હકીકત છે. ‘માને ખોળે’માં અવગતે જતી શબુ નિર્દોષ હતી, પણ સજાનો ભોગ બની! મોંપાસાની વાર્તા ‘હીરાનો હાર’(નેકલેસ)માં નાયિકા પોતાને હીરાનો હાર ખોઈ નાખનાર દોષિત માની લઈને હારના વળતર માટે જીવનના ઉત્તમ વર્ષ હાડમારીમાં કાઢી નાખે છે. આમ, નિર્દોષતા પણ અનન્ય કથા નિમિત્ત બની શકે છે.

.....વધુ વાંચો

છંદોબદ્ધ કાવ્ય(1)