Famous Gujarati Avtaran on Chahero | RekhtaGujarati

ચહેરો પર અવતરણ

મોંનો ઘાટ. સૂરત, શિક્કલ.

‘ચહેરા’ શબ્દનો ઉપયોગ કલાકૃતિમાં કોઈ ચોક્કસ વિસ્તાર, વિભાગ કે વિષય માટે પણ થતો હોય છે. સૌન્દર્યલક્ષી કવિતાઓમાં આખું કાવ્ય ચહેરાના વર્ણન માટે મળી આવે. લોકબોલી અને સાહિત્યમાં ‘ચહેરો’ શબ્દ કેવળ વ્યક્તિલક્ષી ન રહી વિશદ અર્થમાં સમાજ, શહેર કે સ્થળવિશેષ અને સંસ્થાના દેખાવ કે કલેવર માટે વપરાય છે. મીરાંબાઈના ‘મુખડાની માયા લાગી’ ભક્તિગીતમાં ચહેરાની જ વાત છે. મધુ રાયની નવલકથાનું નામ ‘ચહેરા’ છે અને એમના વાર્તા સંગ્રહોમાં અનુગાંધી યુગ અને પછી આધુનિક યુગ પર્યંતનો ગુજરાતી વાર્તાઓનો ચહેરો ચિતરાયો છે. ગદ્યમાં લેખક ચહેરા થકી કથાના ભાવ ઇંગિત કરી શકે અને કરતાં હોય છે. જેમ કે : “...જમીન ૫૨ બેઠેલાં કાશીમા પોટલા જેવાં લાગતાં હતાં. પારોતી સામે જોવા ધીરેધીરે માથું ઊંચું કર્યું. એમનો આખો ચહેરો પારોતી સામે સ્પષ્ટ થયો. એ જોઈ રહી. કાશીમાને પહેલી જ વાર જોતી હોય તે રીતે તાકી રહી. સાંજે જમવા ટાણે જોયેલો તે આ ચહેરો નહોતો. કાશીમાનો ચહેરો તો જાણે ક્ષણે ક્ષણે બદલાય છે. અત્યારે ત્યાં અસંખ્ય કરોળિયા દેખાતા હતા...” (બે સ્ત્રીઓ અને ફાનસ/વીનેશ અંતાણી) “...એ લજવાઈ ગયેલી. ગાલકાન લાલ લાલ. છાતી ધકધક. ઘે૨ જઈ દર્પણમાં જોવા વળેલી. પોતાને પહેલીવાર જોતી હતી? લોહીમાં ગરમ હવાની પોટલી છૂટીને રગરગમાં ફેલાઈ ગયાની આવી અસર? દર્પણમાં એના ચહેરાની જોડાજોડ ઓચમતો મંગાનો મૂળફૂટેલો ચહેરો જોઈ એ ચોંકી ગયેલી. મંગો ત્યાં નહોતો. તો કોણ હતું? એ પોતે? –” (ચીડો/મણિલાલ હ. પટેલ) પરિસ્થિતિની અસર દર્શાવવા માટે સાહિત્યિક કૃતિઓમાં પાત્રોના ચહેરાના ભાવ પરિવર્તનનું વર્ણન થતું હોય છે.

.....વધુ વાંચો