jo vaandho na hoy to tamne- - Sonnet | RekhtaGujarati

જો વાંધો ન હોય તો તમને—

jo vaandho na hoy to tamne-

ઉશનસ્ ઉશનસ્
જો વાંધો ન હોય તો તમને—
ઉશનસ્

ક્યારેક પત્ર હજીયે લખતાં રહો તો?

એમાં તમારું સુખિયાં! કશુંયે જાય;

જે બેક અક્ષરનું ભાગ્ય મળ્યું અમોને—

જે બે ક્ષણો સુધરી અત્ર અમારી જાય;

થોડું ભલે, અમથું કણમાંય વર્ષો;

જે બે ટીપાં નસીબમાં અમને મળ્યાં તે—

ના ઊગશે કશુંય જાણું છું—તોય, તોય—

બાપડા વગરકારણ હિજરાતા

છો બે કણો જનમના તરસ્યા ભીંજાય;

સૂકા બીડે વરસશો નહીં, જાવ; માત્ર

આવો ફરીથી થઈ ઝાકળ, બેક બુંદ;

છો બેક કંઈ તણખલાં પલળી મૂળોમાં

વર્ષાભ્રમે કુતૂહલાય, ટટાર થાય;

એમાં તમારું સુખિયાં! કશુંયે જાય.

સ્રોત

  • પુસ્તક : સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 454)
  • સર્જક : ઉશનસ્
  • પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
  • વર્ષ : 1996