kawyman chamatkar - Satire | RekhtaGujarati

કાવ્યમાં ચમત્કાર

kawyman chamatkar

નટવરલાલ પ્ર. બુચ નટવરલાલ પ્ર. બુચ
કાવ્યમાં ચમત્કાર
નટવરલાલ પ્ર. બુચ

એક વાર એક શિક્ષકે વિદ્યાર્થીઓને સ્વરચિત કાવ્ય લખી લાવવા કહ્યું. એક વિદ્યાર્થીએ નીચે પ્રમાણે કાવ્ય રચી તે શિક્ષકને બતાવ્યું :

(મનહર)

ગામ બા’ર, સાંજ સમે, રેલવેને પાટે પાટે,

બાબુ નામે બાળ જાય નિત હવા ખાવા માટે;

પછવાડે આવે ગાડી, પી-પી, છુક-ભુક થાય,

બાબુ બાજુ તરી જાય, આગગાડી આગે જાય.

વિદ્યાર્થીની રચના વાંચી શિક્ષકે તેને કહ્યું, “તારા કાવ્યમાં ચમત્કાર નથી. રોજ રોજ બને, ક્યારેક બને, સાંભળતાં માણસ ચકિત થઈ જાય તેને ચમત્કાર કહેવાય. કાવ્યમાં કાંઈક ચમત્કાર જોઇએ.” વિદ્યાર્થી કાવ્ય પાછું લઈ ગયો; થોડીવારે ફરી તેણે શિક્ષકને નીચે પ્રમાણેની પદ્યરચના આપી, જેમાં હવે ખરેખર ચમત્કારત્ત્વ હતું :

(મનહર)

ગામ બા’ર, સાંજ સમે, રેલવેને પાટે પાટે,

બાબુ નામે બાળ જાય નિત હવા ખાવા માટે;

પછવાડે આવે ગાડી, પી-પી, છુકભુક થાય,

બાળ જાણી ગાડી બાજુ તરીને અગાડી જાય.

સ્રોત

  • પુસ્તક : કાગળનાં કેસૂડાં (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : નટવરલાલ પ્ર. બુચ
  • પ્રકાશક : જીવન નિર્માણ અકાદમી (ભુજ)
  • વર્ષ : 1986