Ushnas Profile & Biography | RekhtaGujarati

ઉશનસ્

અનુગાંધીયુગના મહત્ત્વના કવિ

  • favroite
  • share

ઉશનસ્નો પરિચય

  • મૂળ નામ - નટવરલાલ કુબેરદાસ પંડ્યા
  • ઉપનામ - ઉશનસ્
  • જન્મ -
    28 સપ્ટેમ્બર 1920
  • અવસાન -
    06 નવેમ્બર 2011

તેમનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ સિદ્ધપુર, ડભોઈ, અને સાવલીમાં થયું હતું. 1942માં સંસ્કૃત વિષય સાથે વડોદરાથી બી.એ. તથા 1945માં ગુજરાતી વિષય સાથે એમ.એ. થયા. થોડો સમય તેમણે વડોદરા હાઈસ્કૂલમાં ભણાવ્યું, ત્યાર બાદ ‘નભોવાણી’ના તંત્રી પણ રહ્યા. 1947થી 1956 દરમ્યાન નવસારીની કૉલેજમાં પ્રાધ્યાપન કર્યું, 1957થી 1967 સુધી વલસાડમાં પ્રાધ્યાપન, અને 1968થી 1980 સુધી વલસાડમાં જ આચાર્ય રહ્યા, ત્યાર બાદ નિવૃત્ત.

શિક્ષણ અને સાહિત્યમાં યોગદાન બદલ તેમને પી.ઇ.એન.નું સભ્યપદ (1966) મળેલું. આ ઉપરાંત તેમને નર્મદ સુવર્ણચંદ્રક (1971), રણજિતરામ સુવર્ણચંદ્રક (1972), રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પારિતોષિક (1976) આદિ પુરસ્કારો પણ તેમને પ્રાપ્ત થયા હતા.

ગુજરાતીના પ્રાધ્યાપક અને સાહિત્યકાર તરીકેની તેમની લાંબી કારકિર્દીના પરિપાકરૂપે તેમની પાસેથી કુલ 11 કાવ્યસંગ્રહો મળે છે. આ ઉપરાંત આ જ સંગ્રહોમાંથી ચૂંટીને ગીતોનો સંગ્રહ ‘કિંકિણી’ (1971), તેમના ભારત-પ્રવાસનાં સૉનેટનો સંચય ‘ભારતદર્શન’ (1974), તથા સુરેશ દલાલે કરેલું ચયન ‘વીથિકા’ નામે મળે છે.

જાણીતા સાહિત્યકાર રમણ સોની તેમની કાવ્યયાત્રાને ત્રણ તબક્કામાં વહેંચી આપે છે. તેમના મતે,

“તબક્કો પહેલો : ‘પ્રસૂન’ (1955), ‘નેપથ્યે’ (1956), ‘આર્દ્રા’ (1959), અને ‘મનોમુદ્રા’ (1960) એ સંગ્રહોની પાંચમા–છઠ્ઠા દાયકાની, પહેલા તબક્કાની કવિતા ગાંધીયુગીન ભાવનાશીલતા ને ચિંતનનિષ્ઠા, કલ્પનરાગી આત્મસંવેદનનું આલેખન, બદ્ધવૃત્તોની સાધના, પ્રકૃતિ–પ્રણયાદિ વિષયો ને મુક્તક, સૉનેટ, સંવાદકાવ્યો આદિ સ્વરૂપોનું વૈવિધ્ય તથા અલંકારસઘન તત્સમ કાવ્યબાની જેવી લાક્ષણિકતાઓ ધરાવે છે.

“તબક્કો બીજો : ‘તૃણનો ગ્રહ’ (1964) અને ‘સ્પંદ અને છંદ’ (1968) સંગ્રહો એમની કવિતાનો બીજો તબક્કો દર્શાવે છે. આ ગાળામાં, રૂઢ બની ગયેલાં કાવ્યરૂપોમાં પણ એમણે ઉત્કૃષ્ટ કાવ્યકલાનો આવિષ્કાર કરતા રહેવાનો પડકાર ઝીલી લીધો છે. ‘અનહદની સરહદે’ સૉનેટમાળા એના ઉત્તમ નમૂનારૂપ છે. રૂઢ અલંકરણ અને તત્સમ કાવ્યબાનીમાંથી અરૂઢ કલ્પનાશક્તિ ને તરલ પદાવલી તરફનો એમનો ઝુકાવ પણ આ કવિતામાં જોઈ શકાય છે. નવીન કવિતાનાં ઉપકરણોને પણ તેઓ સફળ-અર્ધસફળપણે અજમાવતા રહ્યા છે.

તબક્કો ત્રીજો : ‘અશ્વત્થ’ (1975), ‘રૂપના લય’ (1976), ‘વ્યાકુલ વૈષ્ણવ’ (1977), ‘પૃથ્વીને પશ્ચિમ ચહેરે’ (1979), અને ‘શિશુલોક’ (1984) એ સંગ્રહોમાંની કવિતા સર્જક ઉશનસ્‌ને ભાવના–ચિંતનના સંદર્ભોમાંથી સૃષ્ટિના આદ્ય વિસ્મયને ‘એ વિસ્મયના જ એક સ-જીવ માધ્યમ’રૂપે અવગત કરવા તરફ અને છંદ-સૉનેટાદિ કરતાં વધુ અછાંદસ ને ગીતરચના તરફ, ઠીક ઠીક સફળતાપૂર્વક, લઈ જતો ત્રીજો તબક્કો છે.”

‘બે અધ્યયનો’ (1952), ‘રૂપ અને રસ’ (1966), ‘ઉપસર્ગ’ (1973), અને ‘મૂલ્યાંકનો’ (1979)માં એમના વિવેચનો ગ્રંથસ્થ થયેલા છે.