Sumati Lalubhai Mehta Profile & Biography | RekhtaGujarati

સુમતિ લલ્લુભાઈ મહેતા

કવયિત્રી, નવલકથાકાર, પ્રવાસલેખક, અનુવાદક

  • favroite
  • share

સુમતિ લલ્લુભાઈ મહેતાનો પરિચય

સુમતિબેનનો જન્મ 7 મે, 1990ના રોજ ભાવનગરમાં લલ્લુભાઈ અને સત્યવતીની બીજી પુત્રી તરીકે થયો હતો. તેઓ પિતા અને નાના ભાઈ વૈકુંઠના આશ્રય હેઠળ સંસ્કૃત અને અંગ્રેજી શીખ્યાં. ઈ.સ. 1911ની નવમી જુલાઈના દિવસે ખૂબ નાની ઉંમરે ક્ષય રોગના કારણે સુમતિબહેનનું માત્ર એકવીસ વર્ષે અવસાન થયું.

માત્ર ચાર જ વર્ષના સર્જનગાળામાં લઘુનવલ, નાટક, કવિતા, અનુવાદ અને પ્રવાસવર્ણન જેવાં સાહિત્યસ્વરૂપોમાં પ્રદાન કરી આ વિરલ સર્જકે પોતાની ઉચ્ચ કલ્પનાશક્તિ અને સર્જનશીલતાનો પરિચય કરાવી આપ્યો. પ્રકૃતિનું રમ્ય આલેખન, સ્વજનોની પ્રીતિનો ભાવ, ઈશ્વર તરફની આસ્થા અને પોતાની મનોદૈહિક પીડાની અવસ્થાનો આલેખ આપતી, એમ મરણાસન્ન કવયિત્રીની વેદનાની સાથોસાથ એની અંતરયાત્રાનું નિરૂપણ કરતો ‘પ્રભુપ્રસાદી’ (1909) નામે પ્રથમ કાવ્યસંગ્રહ, પછીના વર્ષે ‘પ્રભુ પ્રસાદી’ ભાગ ર (1910), પોતાના ત્રણ ભાઈઓ (જેને પ્રેમથી બટુકરામ, ખંડેરાવ, અને ગગનદાસ કહેવામાં આવે છે)ને સમર્પિત 58 કવિતાઓનો બીજો સંગ્રહ ‘હૃદયઝરણાં’ મળે છે. વિશુદ્ધ પ્રેમની અભિવ્યક્તિ કરતી સંસ્કારી નવલકથા ‘સુરેશ અને યશોધરા’, સ્વાભિમાની, સુશીલ, સંસ્કારી, અને શોખીન નારીની કથા માંડતી ‘શાન્તિદા’, આમસમાજના કુટુંબજીવન પરિવેશને ગૂંથતી ‘કમળકુમાર’, રાજસ્થાનના ઇતિહાસને વસ્તુ બનાવતી ચોવીસ પ્રકરણમાં વિભાજિત ‘પરમાર્થની પ્રતિમા અથવા આત્મભોગની પરિસીમા’ આદિ કુલ છએક નવલકથાઓ, ન્હાનાલાલના ‘ઇન્દુકુમાર’ નાટકનો પ્રભાવ ઝીલતું ‘મધુરી’ અને ઇબ્સનની શૈલીનો પ્રભાવ ઝીલતું ‘અરવિંદકુમાર’ એમ બે નાટકો અને ઘણી કવિતાઓ પણ લખી. ‘દક્ષિણયાત્રા’ પુસ્તકમાં લેખિકાનું પ્રવાસવર્ણન જોવા મળે છે. વિદેશની ગુણવાન સ્ત્રીઓનાં ચારિત્ર્ય આલેખતું ‘સદ્‌ગુણી સ્ત્રીઓ’ નામે અનુવાદનું પુસ્તક, હેન્રિક ઇસ્બનનાં ચાર નાટકોનાં ગુજરાતી રૂપાંતરણ. આ સિવાય ત્રણ સર્ગનું શતક ભાષાંતર ‘યાદવાભ્યુદય’ અને ‘દિવ્યમેષપાલબળ’ પણ મળે છે.