પરબવાવડી (તા. ભેંસાણ, જિ. જુનાગઢ)ની પ્રસિદ્ધ જગ્યાના સ્થાપક સંત કવિ. પિતા મુંજિયાસર ગામે રબારી જ્ઞાતિના ભક્ત જીવા ભગત કે પૂંજા ભગત અને માતાશ્રી સાજણબાઈ. સંસાર અને બે પુત્રોના જન્મ પછી સંસારત્યાગ. એમના ગુરુ તરીકે લોહલંગરી જીવણદાસજીના આદેશથી પરબની જગ્યા બાંધી હોવાના ઉલ્લેખો મળે છે. એ સિવાય ગુરુ તરીકે જેરામ ભારથી કે જયરામગિરિનાં નામો પણ નોંધાયાં છે. એમના ઉ૫૨ નૂરશાહની અમીનજર હતી. એમણે જીવનભર રક્તપીત્તિયાંઓની સેવા કરી હતી. તેમના શિષ્યો શાર્દુલ ભગત અને અમરબાઈ પ્રખ્યાત છે.