સમય ઈ. સ. ૧૯મી-૨૦મી સદી. તે કચ્છ નાપાડાના સૂફી સંત ભાકર શાહના શિષ્યા હતાં. કચ્છના અબડાસા તાલુકાના ભડલી ગામે તેમનો જન્મ ખોજા પરિવારમાં થયો હતો. ગૃહસ્થ જીવનમાં એક પુત્ર થયો તે યુવાવસ્થામાં જ મૃત્યુ પામતાં રતનબાઈને તીવ્ર વૈરાગ્ય જાગ્યો અને તેમણે અધ્યાત્મનો માર્ગ લીધો હતો. તેમની જગ્યા તેરા (કચ્છ)માં આવેલી છે. રતનબાઈની સાથે તેમના પુત્રી સોનલબાઈએ પણ અધ્યાત્મનો માર્ગ લીધો હતો. તે બંનેની કબરો તેરા મુકામે તેમની જગ્યામાં આવેલી છે. રતનબાઈની રચનાઓ કચ્છી અને ગુજરાતીમાં મળે છે. તેમાં પ્રેમલક્ષણા ભક્તિ અને તીવ્ર વૈરાગ્યની ભાવના જોવા મળે છે.