પ્રણામી નિજાનંદ સંપ્રદાયના આદ્ય સ્થાપક સ્વામી દેવચન્દ્રજીના શિષ્ય. જામનગરના લોહાણા પરિવારમાં કેસવજી ઠક્કર અને ધનબાઈને ત્યાં જન્મ. જન્મનામ મિહિરરાજ (મેહરાજ), ઈ. સ. ૧૬૩૧માં દીક્ષા સમયે મળેલું નામ પ્રાણનાથ. તેમણે પ્રચારેલા આધ્યાત્મિક પંથમાં હિન્દુ અને ઈસ્લામ ધર્મોનાં ઉત્તમ તત્ત્વોનો તેમણે સમાવેશ કર્યો હતો. સંત અને સૂફી પરંપરા પણ તેમના દર્શનમાં સ્પષ્ટ થાય છે. ઇન્દ્રાવતી, મહામતિ, પ્રાણનાથ, મેહરાજ વગેરે નામોથી તેમણે હિન્દી, ગુજરાતી, ઉર્દૂ, સિંધી ભાષાઓમાં ભજન-કીર્તન તેમ જ દીર્ઘ કાવ્યગ્રંથો રચ્યા છે. ‘બારમાસી’, ‘મારમતસાગર’, ખેલવત ખૂલાયા’, વડા સિંગાર’, ‘છોટા સિંગાર’, 'શ્રીમુખવાણી', ‘કુલજમસરૂપ', ‘રાસગ્રંથ', 'કલશગ્રંથ' વગેરે ગ્રંથો મુખ્ય છે. તેમના દર્શનના સારભૂતને રજૂ કરતો કીર્તનસંગ્રહ છે ‘તારતમસાગર’.