Panna Naik Profile & Biography | RekhtaGujarati

પન્ના નાયક

ડાયસ્પોરા કવિઓમાં અગ્રેસર, એકરારની કવિતા રચવા માટે જાણીતા.

  • favroite
  • share

પન્ના નાયકનો પરિચય

પન્ના નાયકનો જન્મ 28 ડિસેમ્બર, 1933ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનું મૂળ વતન સુરત હતું. મુંબઈ યુનિવર્સિટીમાંથી 1954માં ગુજરાતી મુખ્ય વિષય સાથે બી.એ. અને 1956માં એમ.એ. થયાં. અમેરિકાના ફિલાડેલ્ફીઆની ડ્રેક્ષલ યુનિવર્સિટીમાંથી 1962માં લાઇબ્રેરી સાયન્સની એમ.એસ.એલ.એસ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. 1972માં ફિલાડેલ્ફીઆની પેન્સિલવેનીયા યુનિવર્સિટીમાંથી એમ.એસ કર્યું. ત્યારબાદ તેઓ પેન્સિલવેનીયા યુનિવર્સિટીની વેન પેલ્ટ લાઇબ્રેરીમાં દક્ષિણ એશિયાનાં ગ્રંથસૂચિકાર, ગ્રંથકાર અને ગુજરાતીના અધ્યાપિકા જેવા વિવિધ પદો પર રહીને નિવૃત્ત થયાં.

તેમનો પહેલો કાવ્યસંગ્રહ ‘પ્રવેશ’ 1975માં પ્રકાશિત થયો હતો. આ પછી ‘ફિલાડેલ્ફીઆ’ 1980માં, ‘નિસ્બત’ 1984માં પ્રકાશિત થયા હતા. તેમણે ‘અરસપરસ’ (1989), ‘આવનજાવન’ (1991), ‘રંગ ઝરુખે’ (2005), ‘ચેરી બ્લોસમ્સ’ (2005), ‘કેટલાંક કાવ્યો’ (1990), ‘વિદેશિની’ (2000) વગેરે કાવ્યસંગ્રહો પણ આપ્યાં છે.

પન્ના નાયકની કવિતાઓમાં આધુનિક દેશોમાં જીવતી એક સ્ત્રીની ભાવનાઓ રજૂ થાય છે. તેમણે સ્ત્રીનો પુરુષ સાથેનો સંબંધ, સ્ત્રીપુરુષનો પ્રેમ, દાંપત્યજીવનની મૂંઝવણો, વ્યથાઓ, સ્ત્રીની સંતાનપ્રાપ્તિની ઝંખના જેવાં સ્ત્રીજીવનનાં અનેક પાસાઓનું સુંદર નિરૂપણ પોતાની કવિતાઓમાં કર્યું છે. કવયિત્રીએ પોતાની કવિતાઓમાં અલંકારોનો ઉપયોગમાં સંયમપૂર્ણ કર્યો છે. તેમનાં મોટાભાગનાં કાવ્યો આત્મલક્ષી ઊર્મિકાવ્યો છે. પન્ના નાયકે ‘ફ્લેમિંગો’ (2003) નામનો વાર્તાસંગ્રહ તેમણે લખ્યો છે.