તેમની અનેક રચનાઓ લોક-કંઠે મૌખિક તેમ જ લિખિત પરંપરાથી વહેતી આવી છે. આ સ્ત્રી સંતના જીવન વિશે કોઈ માહિતી મળતી નથી. તેમની રચનાઓની સામગ્રી અને દર્શન જોતાં એટલું જાણવા મળે છે કે તે મહાપંથી સાધના પરંપરામાં થઈ ગયાં છે અને તેમના ગુરુ કોઈ ભાવદાસ નામના સંત હતા. કેમકે સંત ભાવદાસનો ઉલ્લેખ તેમની અનેક રચનાઓમાં થયો છે. તેમની રચનાઓમાં અધ્યાત્મ અને નીતિબોધ રજૂ થયેલાં છે.