Keshavlal H. Dhruv Profile & Biography | RekhtaGujarati

કેશવલાલ હ. ધ્રુવ

ગુજરાતીના જાણીતા ભાષાવિદ, વિવેચક, સંશોધક, સંપાદક અને અનુવાદક

  • favroite
  • share

કેશવલાલ હ. ધ્રુવનો પરિચય

  • મૂળ નામ - કેશવ હર્ષદ ધ્રુવ
  • ઉપનામ - વનમાળી
  • જન્મ -
    17 ઑક્ટોબર 1859
  • અવસાન -
    13 માર્ચ 1938

કેશવલાલ હર્ષદરાય ધ્રુવ ગુજરાતી ભાષાના જાણીતા ભાષાવિદ, વિવેચક, સંશોધક, સંપાદક અને અનુવાદક હતા. તેમનો જન્મ દહેગામના બહિયેલમાં 17 ઑક્ટોબર, 1859ના રોજ થયો હતો. 1876માં મૅટ્રિક અને 1882માં બી.એ પાસ કર્યું. અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક તરીકે જોડાયા હતા.

આર.સી. હાઈસ્કૂલના 1908માં હેડમાસ્તર બન્યા. શાળામાંથી નિવૃત થયા બાદ 1915માં અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગુજરાતીના પ્રથમ પ્રાધ્યાપક તરીકે નિમાયા અને 1934માં નિવૃત્ત થયા. ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ તરીકે 1920થી 1938 સુધી રહ્યા. બીજી ગુજરાતી સાહિત્ય પરિષદ(1907)ના પ્રમુખ રહ્યા હતા. તેમનું અવસાન 13 માર્ચ, 1938ના રોજ થયું હતું.

કેશવલાલ ધ્રુવે સંસ્કૃતના સંશોધનમાં અમૂલ્ય પ્રદાન કર્યું છે. તેમણે કાલિદાસ, અમરુ, ભાસ, જયદેવ વગેરે કવિઓની કૃતિઓ અંગે જે વિચારો રજૂ કર્યા હતા તે સંસ્કૃતના વિવેચકો માટે પથદર્શક બન્યા હતા. તેમનું સંશોધન અને સંપાદન તેમના રસથી અલંકારિત હતું. તેમાં સર્જકતાનો સ્પર્શ પણ દેખાય છે.

મધ્યકાલીન ભાષા અને સાહિત્યનો તેમણે રસપૂર્વક અભ્યાસ કર્યો છે. સ્પષ્ટ ટૂંકી નોંધો અને વિદ્વત્તાપૂર્ણ લખાયેલી પ્રસ્તાવનાઓના કારણે લોકોનું ધ્યાન તેમની તરફ આકર્ષાયું હતું. ગુજરાતી ભાષામાં લખાયેલી કેટલીક મધ્યકાલીન કવિઓની કૃતિઓ વિશે તેમણે યથાયોગ્ય લખ્યું છે.

કેશવલાલ ધ્રુવે ભાલણની ‘કાદંબરી’ના પૂર્વભાગ(1916)નું અને ઉત્તરભાગ(1927)નું અને ‘પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જરકાવ્ય’(1927)નું સંપાદન કર્યું છે. રત્નદાસકૃત ‘હરિશ્ચન્દ્રાખ્યાન’ (1927), અખાકૃત ‘અનુભવબિંદુ’ (1932) તેમનું સંપાદન છે. અજ્ઞાતકવિકૃત ‘વસંતવિજય’ને તેમણે પહેલી વખત લોકો સમક્ષ રજૂ કર્યા.

‘સાહિત્ય અને વિવેચન’ ભાગ 1–2(1939, 1941)માં તેમણે ભાષા વિશે કરેલા સંશોધનાત્મક લેખો અને સાહિત્યચિંતનને લગતા લેખોનો સમાવેશ થયો છે.

મુંબઈ યુનિવર્સિટીમાં 1931માં યોજાયેલા ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં તેમણે છંદશાસ્ત્ર પર પાંચ વ્યાખ્યાનો આપ્યા હતા. આ વ્યાખ્યાનો ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના’ (1932) તરીકે મળે છે. કેશવ ધ્રુવે ગુજરાતી છંદોનો આખો ઇતિહાસ પૂરો પાડ્યો છે. આ છંદોમાં ક્યાં ક્યાં સુધારા-વધારા થયા, ક્યાં ક્યાં વપરાયા, કેવી કેવી રીતે એમનાં મિશ્રણો થયાં એવી તમામ ઝીણવટભરી વિગતો છે. ‘રણપિંગળ’ બાદનો ગુજરાતીમાં છંદ પરનો આ બીજો પ્રમાણિત ગ્રંથ છે.

ગુજરાતી ભાષાની કેટલીક લાક્ષણિકતાઓ તેમણે ભાષાશાસ્ત્રની ચર્ચા કરતા પોતાના ગ્રંથ ‘વાઞ્વ્યાપાર’માં જણાવી છે. તે તેમનું સૌથી મોટું યોગદાન છે. તેમણે પોતાના સંપાદનોમાં કરેલી ટીકાઓમાં કેટલાક શબ્દોની મૂળ ઉત્પત્તિ વિશે વાત કરવાનો પ્રયત્ન કર્યો છે. જોકે, અમુક સ્થળે તેમણે પોતાની કલ્પનાશક્તિથી વ્યુત્પત્તિઓ આપી છે.

સંસ્કૃત કાવ્યો અને નાટકોનો તેમણે જે અનુવાદ કર્યો તે તેમનું સૌથી મોટું પ્રદાન છે. આ ભાષાંતરોમાં તેમણે મૂળ કૃતિઓના મર્મને પકડી રાખ્યા છે. વિદ્વત્તા અને રસપ્રદ રીતે કેવી રીતે ભાષાંતર કરી શકાય એનાં ઉત્તમ ઉદાહરણ છે.

સંસ્કૃતિ કાવ્યો ‘અમરુશતક’ (1892), ‘ગીતગોવિંદ’ (1895) અને ‘છાયાઘટકર્પર’(1902)નો અનુવાદ તેમણે કર્યો છે. ભાસનાં નાટકોના અનુવાદો તેમણે ‘પ્રધાનની પ્રતિજ્ઞા’ (1915), ‘સાચું સ્વપ્ન’ (1917), ‘મધ્યમવ્યાયોગ’ (1920) અને ‘પ્રતિમા’(1928)ના નામે કર્યા છે. વિશાખદત્તના ‘મુદ્રારાક્ષસ’નું ‘મેળની મુદ્રિકા’(1889)ને નામે અને કાલિદાસના ‘વિક્રમોર્વશીયમ્’નું ‘પરાક્રમની પ્રસાદી’(1915)ને નામે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. સંસ્કૃતમાં લખાયેલી કૃતિઓમાં આવતી ‘પ્રાકૃત’ ભાષાનો અનુવાદ ‘બોલી’માં કરવા મથ્યા હતા.