Jivan Saheb Profile & Biography | RekhtaGujarati

જીવણ સાહેબ

રવિ-ભાણ પરંપરાના શિરમોર ભજનિક અને સંત, ભીમસાહેબના શિષ્ય

  • favroite
  • share

જીવણ સાહેબનો પરિચય

જીવણસાહેબનો જન્મ ઘોઘાવદરના (તા. ગોંડલ, જિ. રાજકોટ) મેઘવાળ પરિવારમાં જગાભાઈ દાફડા અને સામબાઈને ત્યાં ઈ. સ. 1750માં થયો હતો. પત્નીનું નામ જાલુમા અને પુત્ર દેશળભગત. તો શિષ્યોમાં પ્રેમસાહેબ (કોટડા સાંગાણી), અરજણ (ભાદરા) છે. નિર્ગુણ શબ્દ-સુરત યોગના સાધક એવા આ સંતે અનન્ય પ્રેમભક્તિથી ભરપૂર પ્રેમલક્ષણા ભક્તિનાં ભજનો દાસીભાવે આપ્યાં છે. ઉપરાંત, આંતરિક યાત્રાનાં વિવિધ રહસ્યવાદી સ્થાનોને નિર્દેશતાં, તે માટેની પદ્ધતિ દર્શાવતાં તેમ જ નીતિબોધને લગતાં તેમનાં સંખ્યાબંધ ભજનો મળે છે. આમ, તેમણે નિર્ગુણ નિરાકારની સાથે સગુણ ઉપાસનાનાં પ્રતીકોનો સમન્વય કરી પ્રેમલક્ષણા દાસીભાવ, જ્ઞાન, યોગ, વૈરાગ્ય, ચેતવણી, બોધ-ઉપદેશ, ગુરુમહિમા એમ વિવિધ ભાવસૃષ્ટિ ધરાવતાં ભજનોના રચયિતા સંતકવિ તરીકે સૌરાષ્ટ્રના ભજનસાહિત્યમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. દાસી જીવણે ઈ.સ. 1825માં ઘોઘાવદ૨માં જ સમાધિ લીધી હતી.