રવિ-ભાણ પરંપરાના સંતકવિ. સમય ઈ. સ. 18મી સદી ઉત્તરાર્ધથી 19મી સદી પૂર્વાર્ધ. રવિભાણ પરંપરામાં ત્રિકમસાહેબના શિષ્ય લક્ષ્મીસાહેબ, લક્ષ્મીસાહેબના શિષ્ય ખમ્યાસાહેબ અને ખમ્યાસાહેબના શિષ્ય હરિદાસ. તેમનો જન્મ રાપર (કચ્છ) તાલુકાના બેલા ગામે મેઘવાળ ગરોડા બ્રાહ્મણ પરિવારમાં રમણભાઈ અને રૂપાંબહેનને ત્યાં થયો હતો. અવટંક ગેડિયા. બચપણથી જ ચિત્રોડ(કચ્છ)માં ખમ્યાસાહેબ પાસે રહેતા, જેથી સંતમાર્ગની સાધનાનો રંગ લાગ્યો. તે પછી રાધનપુર પાસેના ફતેહગઢ ગામે વસ્યા અને હરિસાહેબના નામે પ્રસિદ્ધ થયા. તેમની વાણીમાં સંતસાધનાનું ઊંડું દર્શન જોવા મળે છે.