વાર્તાકાર, નાટ્યલેખક, પ્રવાસલેખક, વિવેચક, જીવનચરિત્રલેખક, સંપાદક.
ગુજરાતી વાર્તાકાર, નાટ્યલેખક, પ્રવાસલેખક, વિવેચક, જીવનચરિત્રલેખક, સંપાદક. તેમનો જન્મ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેમણે મુંબઈની ન્યૂ ભરડા સ્કૂલમાંથી 1926માં મૅટ્રિક કર્યું હતું. ત્યાર બાદ 1930માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અંગ્રેજી–ગુજરાતી વિષયો સાથે બી.એ.ની પદવી મેળવી હતી. તેમણે 1933થી 1946 સુધી મુંબઈ શૅરબજારમાં બ્રોકર તરીકે કામ કર્યું હતું. 1940થી તેઓ પી.ઇ.એન.ના સભ્ય રહ્યા હતા. આગળ જતાં 1958–1960 દરમિયાન તેના માનદ મંત્રી, ખજાનચી બન્યા; અંતે 1981માં તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. 1956માં સાહિત્ય અકાદમી, દિલ્હીમાં ગુજરાતીના સલાહકાર મંડળમાં પણ તેમણે સેવા આપી હતી. 1983થી તેની કારોબારીના સભ્ય બન્યા હતા. પી.ઇ.એન.ના ફ્રેન્કફર્ટ (જર્મની) અધિવેશનમાં તેઓ ભારતના પ્રતિનિધિ બન્યા હતા. 1962માં અમેરિકન સરકારના નિમંત્રણથી તેઓ સ્ટડી મિશન્સ ઇન્ટરનૅશનલમાં અમેરિકા ગયા. 1963માં જર્મન સરકાર (પશ્ચિમ)ના નિમંત્રણથી ત્યાં ગયા. 1968નો કુમારચંદ્રક પ્રાપ્ત થયો. 1974–75માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા.
તેમની પાસેથી આપણને ‘લતા અને બીજી વાતો’ (1938), ‘વસુંધરા અને બીજી વાતો’ (1941), ‘ઊભી વાટે’ (1944), ‘સૂર્યા’ (1950), ‘માણસનાં મન’ (1962), ‘બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ’ (1957), ‘ભીતરનાં જીવન’ (1967), અને ‘પ્રેમ પદારથ’ (1974) જેવા વાર્તાસંગ્રહો મળે છે. એમની ‘લતા શું બોલે?’, ‘ગુલામદીન ગાડીવાળો’, ‘નીલીનું ભૂત’, ‘સુરભિ’, ‘બા’, ‘પ્રેમ પદારથ’, વગેરે વાર્તાઓ નોંધપાત્ર બની છે. ‘પુણ્ય પરવાર્યું નથી’ (1952), ‘હરિનો મારગ’ સત્યકથાઓના સંગ્રહો છે. ‘અમૃતદીક્ષા’ (1976)માં જીવનચરિત્રો આલેખાયાં છે. ‘સ્મરણોનો દેશ’ (1987)માં વ્યક્તિચિત્રો છે.
‘જ્વલંત અગ્નિ’ (1916), ‘બ્રોકરનાં પ્રતિનિધિ એકાંકી’ (1973) એમના એકાંકીસંગ્રહો છે.
‘વસન્તે’ (1964) એમનો કાવ્યસંગ્રહ છે. ‘નવા ગગનની નીચે’ (1970) પ્રવાસપુસ્તક છે. ‘રૂપસૃષ્ટિમાં’ (1962) અને ‘સાહિત્ય-તત્ત્વ અને તંત્ર’ (1977) સાહિત્યસિદ્ધાંતનાં–વિવેચનનાં પુસ્તકો છે. ‘અભિવ્યક્તિ’ (1965), ‘નર્મદ’ (1976), વગેરે એમના અન્ય વિવેચનગ્રંથો છે. ‘ગુજરાતનાં એકાંકી’ (1958), ‘આપણી શ્રેષ્ઠ નવલિકાઓ’ (1948), ‘કાવ્યસુષમા’ (અન્ય સાથે, 1967), ‘વાઙ્મયવિહાર’ (અન્ય સાથે, 1961), વગેરે એમનાં સંપાદનો છે; તો ‘બિચારાં સુનંદાબહેન’ (1954), ‘ભૂતાવળ’ (1960), ‘વિચ્છેદ’ (1967), ‘કથાભારતી’, વગેરે એમનાં રૂપાંતર-અનુવાદનાં પુસ્તકો છે.