Devji R. Modha Profile & Biography | RekhtaGujarati

દેવજી રા. મોઢા

ગાંધીયુગના કવિ

  • favroite
  • share

દેવજી રા. મોઢાનો પરિચય

ગુજરાતી કવિ. 1930માં તેઓએ મૅટ્રિક પાસ કર્યું અને ત્યાર બાદ મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી કરાચીની ડી.જે. સિંધ કૉલેજમાંથી એમ.એ. થયા. કરાચીમાં શારદામંદિર શાળામાં શિક્ષક તરીકે પણ તેમણે કામગીરી બજાવી પરંતુ ભારતના વિભાજન પછી વતનમાં આવીને વસવાટ કર્યો હતો. પોરબંદરના નવયુગ વિદ્યાલયના આચાર્ય તરીકે તેમણે સેવા આપી હતી. એમની શિક્ષણકાર તરીકેની કામગીરીને લક્ષમાં લઈ 1963માં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય ઍવૉર્ડ તેમને એનાયત થયો હતો. 1977માં તેઓ નિવૃત્ત થયા હતા.

પોરબંદરના ગાંધીયુગના મહત્ત્વના કવિઓમાંના તેઓ એક છે. ગાંધીમૂલ્યો, સાદગી, અને સરળતા તેમની શિક્ષણવૃત્તિ અને તેમની કાવ્યપ્રવૃત્તિનું નિર્ણાયક અંગ છે. તેમનાં કાવ્યોની સરળતા અને સુબોધતા વિશે પોતાના પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રયાણ’ (1951)માં એમણે ટકોર કરેલી કે ‘મારાં કાવ્યો અતિ સુબોધ છે અને સુબોધતા જ એનો દોષ ન ગણાઈ જાય એટલું માગું છું’.

તેમના વિશે ચન્દ્રકાન્ત ટોપીવાળા કહે છે કે, “સાદી વાત, સાદો ભાવ અને રોજબરોજની તળપદી લાગણીઓને એમણે આછા ચમત્કાર સાથે વાચા આપી છે. એમની રચનાઓમાં એક પ્રકારની સ્વાભાવિકતા અને સાહજિકતા છે. સમુદ્ર જો એમના સંવેદનનું સતત વાહન રહ્યો છે, તો સ્વજનોના મૃત્યુનો આઘાત તેમના સંવેદનને સતત સંકોરતો રહ્યો છે. એમની રચનાઓ ભજનિકોની પરંપરા સાથે પણ નાતો રાખે છે; એથી ગુરુશિષ્યભાવનો સંદર્ભ પણ ક્યારેક રોચક રીતે પ્રવેશ્યો છે. કૃષ્ણ-રાધાનાં પાત્રોની આસપાસના એમના કેટલાક ગીત-ઉન્મેષો નોંધપાત્ર છે. ગીતોમાં ઉછાળને સ્થાને માર્મિક સંયમ છે. અને એમની પદ્યરચનાઓ પ્રમાણમાં સાફસૂથરી છે.”

‘પ્રયાણ’ ઉપરાંત ‘શ્રદ્ધા’ (1957), ‘આરત’ (1959), ‘અનિદ્રા’ (1962) જેવા કાવ્યસંગ્રહો તેમની પાસેથી મળે છે. ‘વનશ્રી’ (1963) એમની 51મા વર્ષની ઉજવણી નિમિત્તે અથવા સંગ્રહોમાંથી પસંદ કરેલી 51 રચનાઓનું સંપાદન છે. ‘રાધિકા’ (1969)માં પૂર્વપ્રકાશિત સંગ્રહોમાંથી રાધા-કૃષ્ણની રચનાઓ ઉપરાંત કેટલીક નવી લખાયેલી રચનાઓનું સંકલન છે, તો ‘શિલ્પા’ (1973) પણ 100 સૉનેટોનો સંગ્રહ છે, જેમાંનાં ઘણાં બધાં સૉનેટો પૂર્વે પ્રકાશિત સંગ્રહમાંથી જ લેવામાં આવ્યાં છે. ‘અમૃતા’ (1982) એમનો છેલ્લો સંગ્રહ છે.

(તસવીર સૌજન્ય: જગન મહેતા)