મહાપંથના સંતકવિ. શોભાજીના શિષ્ય. તેમની આગમ પ્રકારની રચનાઓ મારવાડી તેમ જ ગુજરાતી ભાષામાં સાંપડે છે. રામદેવ પીર કૃત ‘નિરંજન પ્રમાણ’માં ધારૂ મેઘ તથા માતા દેવુ (ઊગમશી ભાટીના રૂપાંદે-માલદે સહિતના મુખ્ય સાત શિષ્યોમાંના બે) સાથે દેવાયત પંડિતનો ઉલ્લેખ થયેલો છે. હરજી ભાટી કૃત ‘રૂપાંદે રી વેલ’માં માલદેના દીક્ષા પ્રસંગે ઊગમશી ભાટી, ધારૂ મેઘ તથા રૂપાંદેની સાથે તેમની ઉપસ્થિતિ દર્શાવવામાં આવી છે. એણે આધારે તેમના જીવનકાળ લેખે ઈ. સ.ની ચૌદમી સદી મળે છે. મજેવડી(જિ. જૂનાગઢ)ના દેવતણખી લુહાર, તેમનાં પુત્રી લીરલબાઈ, રબારી ભક્ત હાલો, આહિર ભક્ત સુરો અને કુંભાર ભક્ત ઢાંગો તથા વણવીરનો સમાવેશ દેવાયત પંડિતના શિષ્યમંડળમાં થાય છે. દેવાયત પંડિતનો વસવાટ રાજસ્થાન અને ગુજરાતમાં રહ્યો હતો. તેમના વિશે અનેક ચમત્કારમય દંતકથાઓ સાંપડે છે. કોઈ તેમને થાનના બ્રાહ્મણ, કોઈ બરડા (બીલેસર)ના મેઘવાળ બ્રાહ્મણ, કોઈ વંથલીના ઉદયશંકર ગોરના પુત્ર, તો કોઈ માલધારી જાતિના સંત તરીકે ઓળખાય છે. માર્ગીપંથના ખોજા કવિ કેશવનીરચનાઓ પણ દેવાયતના નામે રચાયેલી હોવાનું નોંધાયું છે. અને દેવાયત પરમાર કૃત માર્ગીપંથના ભજનો તથા ‘મેદી પુરાણ’ જેવો ગ્રંથ એમણે રચ્યો હોવાની નોંધ ખોજા જ્ઞાતિનાં પુસ્તકોમાંથી મળી આવે છે. અમદાવાદ જિલ્લાના મોડસર ગામે વિ.સં. ૧૮૬૫નો પાળિયો દેવાયત પંડિતના પાળિયા તરીકે પ્રસિદ્ધ છે, તો ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે નકળંકનો મેળો ભરાય છે. ત્યાં માલણ નદીને કાંઠે દેવાયત—દેવલદે તથા સાલો અને સૂરોની સમાધિઓ હોવાનું સંભળાયું છે. ગુજરાતી ભજનસાહિત્યમાં એમનાં ‘આગમ’ પ્રકારનાં ભજનો અદ્વિતીય છે. પોતાની પત્ની દેવલદેને ઉદ્દેશીને એમણે આઆગમોની રચના કરી છે.