Dahyabhai Derasari Profile & Biography | RekhtaGujarati

ડાહ્યાભાઈ દેરાસરી

કવિ, વિવેચક અને અનુવાદક

  • favroite
  • share

ડાહ્યાભાઈ દેરાસરીનો પરિચય

  • મૂળ નામ - ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી
  • જન્મ -
    11 ઑક્ટોબર 1857
  • અવસાન -
    14 માર્ચ 1938

વિસનગરા નાગર બ્રાહ્મણ. તેમનો જન્મ 11 ઑક્ટોબર, 1857ના રોજ સુરતમાં થયો હતો. મૂળ વતન કપડવણજ, પરંતુ પરદાદા અમદાવાદ આવીને રહ્યા હોવાથી અમદાવાદ કર્મભૂમિ બની.

મૅટ્રિકની પરીક્ષામાં 1887માં ઉત્તીર્ણ થયા બાદ પૂણેની સાયન્સ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. તેમની કારકિર્દી રાજકોટમાં કાઠિયાવાડ ટ્રેનિંગ કૉલેજમાં શરૂ થઈ અને ત્યાં એ ઉપાચાર્યના હોદ્દા સુધી પહોંચેલા. રાજકોટના વર્ષોમાં લૅન્ગ લાઇબ્રેરી અને વૉટસન મ્યુઝિયમને સમૃદ્ધ બનાવ્યા. 1893માં તેમણે કાઠિયાવાડ સંગ્રહસ્થાનનું આયોજન કર્યું હતું. સરકારે તેમને 1856માં ભૂસ્તરવિદ્યાના અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ મોકલ્યા હતા. ભૂસ્તરવિદ્યાના અભ્યાસ સિવાય તેમણે બ્રિટનમાં બૅરિસ્ટરની પદવી મેળવીને પાછા ફર્યા. સરકારી નોકરીનું રાજીનામું આપી વકીલાત શરૂ કરી.

‘સ્વદેશવત્સલ’ નામનું સામયિક સામાજિક સંસ્થાઓના સંચાલક હરિ હર્ષદ ધ્રુવ સાથે મળીને ચલાવેલું. ગુજરાતના ભૂસ્તરવિદ્યા મંડળના પ્રથમ સભ્ય ફેલો હતા.

અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(હાલની ગુજરાત વિદ્યાસભા)ના સક્રિય સભાસદ તરીકે તેમણે મહત્ત્વની કામગીરી બજાવી હતી અને ગુજરાતીમાં કેટલાંક પુસ્તકોનો અનુવાદ પણ કરી આપ્યો હતો.

તેમણે બે સુંદર કાવ્યો ‘ચમેલી’ (1883) અને ‘બુલબુલ’ (1890) આપ્યા હતા. જે મણિલાલ અને બાલાશંકરની ગઝલોથી પ્રેરાઈને લખાયા હતા. ‘ચમેલી’ કાવ્ય સળંગ હરિગીત છંદમાં છે, જ્યારે ‘બુલબુલ’માં એક નવીન કાવ્યસ્વરૂપ તૈયાર કર્યું છે. જેમાં હરિગીતની વચમાં દોહરો મૂક્યો છે. ખૂબ વધારે શબ્દોનો ઉપયોગ કરવાની જગ્યાએ સરળ શબ્દોમાં ભાવનિરૂપણ કર્યું છે. તેમણે ધર્મગ્રંથોના અનિષ્ટ પર તત્ત્વોની મજાક કરતું ‘હરિધર્મશતક’ (1884) કાવ્ય લખ્યું છે.

એમનું ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ (1911) અને ‘કાન્હડદે પ્રબંધ’નું સંપાદન (1913) એક વિવેચક અને સંશોધક તરીકે એમની મુદ્રા પ્રગટ કરે છે.

ડાહ્યાભાઈએ લખેલા પુસ્તક 'સાઠીના સાહિત્યનું દિગ્દર્શન'ને અર્વાચીન સાહિત્યના ઇતિહાસનું પહેલું ગુજરાતી પુસ્તક માનવમાં આવે છે. આ પુસ્તકમાં તેમણે 1850થી 1910 સુધી લખાયેલા સાહિત્ય વિશે લખ્યું છે. આ પુસ્તકમાં તેમણે સાહિત્ય પર અન્ય લેખકોએ આપેલા મંતવ્યોનો પણ સમાવેશ કર્યો છે. પત્રકારત્વ અને શિક્ષણને લઈને થયેલા વિકાસની વાત પણ તેમાં કરાઈ છે. ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, વૈદકશાસ્ત્ર વગેરેને લગતાં પ્રકાશનોની માહિતી આપી છે.

મધ્યકાલીન કવિ પદ્મનાભના જાણીતા પ્રબંધ ‘કાન્હડદે પ્રબંધ’નું ટૂંકી નોંધો સાથે સંપાદન કર્યું છે, જેનો અનુવાદ 1924માં પ્રકાશિત થયો.

મરાઠી પર આધારિત ‘પૌરાણિક કોશ’ અને ‘ભૌગોલિક કોશ’ તેમનું એક સુંદર કાર્ય છે. તેમણે પદાર્થવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર જેવા વિષયો પર પાઠ્યપુસ્તકો આપ્યા. ‘રણજિતસિંહ’ (1895), ‘શહેનશાહ પંચમ જ્યૉર્જ’ (1930) અને ‘ભૂસ્તરવિદ્યા’ (1930)ના પુસ્તકોનું અનુવાદ કર્યું.

આ ઉપરાંત ‘પદાર્થવિજ્ઞાન’, ‘અર્થશાસ્ત્ર’, ‘રસાયનશાસ્ત્ર’, ‘વિદ્યાર્થીઓનો મિત્ર’, ‘પ્રાણીવર્ણન’ વગેરે પાઠ્યપુસ્તકો પણ લખેલાં.