Bhanuprasad Trivedi Profile & Biography | RekhtaGujarati

ભાનુપ્રસાદ ત્રિવેદી

કવિ, નાટ્યકાર અને નવલકથાકાર

  • favroite
  • share

ભાનુપ્રસાદ ત્રિવેદીનો પરિચય

તેમનો જન્મ 16 જાન્યુઆરી, 1931ના રોજ ગાંધીનગર જિલ્લાના વાવોલમાં માતા નાથીબા અને પિતા ભોળાનાથ ત્રિવેદીને ત્યાં થયો હતો. 1949માં મૅટ્રિક, 1955માં ગુજરાતી-સંસ્કૃત વિષય સાથે વિનયન સ્નાતક, 1967માં એ જ વિષયોમાં વિનયન અનુસ્નાતક, 1955-62માં ઉત્તર ગુજરાતના લીંચ અને ખેરવામાં શિક્ષક, 1962-1963માં સાબરકાંઠાના ચિત્રોડાની સ્કૂલમાં તેમજ 1963-1969 દરમિયાન ઉત્તર ગુજરાતના પ્રતાપનગરની સ્કૂલમાં આચાર્ય, 1970થી ગુજરાત લૉ સોસાયટી સંચાલિત કૉલેજમાં પ્રાધ્યાપક, સી.યુ.શા. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાંથી નિવૃત્તિ. તેમણે આકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા છે.

‘પ્રશ્નાર્થ શો’ કાવ્ય ‘કુમાર’માં પ્રકાશિત થતા, તેમનો કાવ્યથી આરંભાયેલો સર્જનોદ્યમ સમયાંતરે વાર્તા, એકાંકી, નવલકથા એમ વિવિધ દિશામાં ફંટાયો : તેમની પાસેથી ‘મોમેન્ટ’ (1974) નામક એકાંકીસંગ્રહ, ‘અલસગમના’ (1975), ‘સંગત’ (1975) અને ‘ઋતુપર્ણા' (2007) નામક ત્રણ કાવ્યસંગ્રહ, ‘એક હતું અમદાવાદ' (1981), ‘શાલવન’ (1984), ‘શેષપાત્ર’ (1989), ‘વિક્ષિપ્તા’ (1993) આદિ નવલકથાઓ, ચંદન અને સાધુ! (2009) નામે વાર્તાસંગ્રહ તેમજ ‘અભ્યંતર’ આદિ કૃતિઓ મળી આવે છે. ,

તેમને તેમના એકાંકીસંગ્રહ ‘મોમેન્ટ’ માટે 1974માં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક તેમજ 1984 અને 1989ના વર્ષમાં ક્રિટિક્સ ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમના કાવ્યોના અન્ય ભાષાઓમાં પણ અનુવાદ થયા છે.