સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં કબીરી સંતમાર્ગના જે પંથે જીવંત ભાવ અને ઉદારતા સાથે કામ કર્યું તે 'રવિ-ભાણ સંપ્રદાય'ના આદ્યસ્થાપક સંત. ચરોતર પંથકના કનખિલોડ ગામે લોહાણા પરિવારમાં કલ્યાણજી ઠક્કર અને અંબાબાઈને ત્યાં ઈ.સ. ૧૬૯૮માં જન્મ. ગૃહસ્થ હતા. તેમના પુત્ર ખીમસાહેબે પણ પિતાના અનુસરણે સમર્થ સંતઅવસ્થા પ્રાપ્ત કરેલી. રાપર-કચ્છની ગાદીપરંપરા ખીમસાહેબ દ્વારા શરૂ થયેલી. ભાણસાહેબના તેજસ્વી પટ્ટશિષ્ય રવિસાહેબ. એમને લઈને જ આ પંથ 'રવિ-ભાણ સંપ્રદાય' લેખે જાણીતો થયો. ભાણસાહેબ કહેતા કે આપણે લોકની બધી દુર્ગતિ અને હૃદયના અંધકારને દૂર કરીશું. તેમની સાથે લોકમાં જ્ઞાનપ્રસાર માટે જે ચાળીસ સંત અને સાંઈની ટુકડી રહેતી તે ‘ભાણફોજ’ તરીકે જાણીતી થયેલી. સંતમતના અધ્યાત્મ અને જીવનદર્શનને પ્રગટ કરતાં ગુજરાતી-હિન્દી ભજનો તેમણે રચ્યાં છે. સમાધિ ઈ. સ. ૧૭૫૫માં કમીજડા (તા. વિરમગામ, જિ. અમદાવાદ) મુકામે.