મૂળ કચ્છ—અબડાસાના નાડાપા ગામના વતની. ભુજની ખારી નદીને કાંઠે આવેલી કોતરની ગુફામાં તેમનું નિવાસસ્થાન હતું. અવારનવાર એક કચ્છી સૂત્ર તેઓ ઉચ્ચારતા રહેતા- "કટર ચેંજી અખમેં, સે પિરિયન કીં પસન?" અર્થાત્ "જેની આંખમાં કણું પડ્યું છે તેઓ પ્રિયતમને કઈ રીતે દેખી શકે?" તેમનું સ્થાનક રોહાના ડુંગર પર આવેલું છે. કચ્છના મીરાં ગણાતાં સૂફી સંત કવયિત્રી રતનબાઈ (ઈ.સ. ૧૮૫૦થી ૧૯૨૦) તેમનાં શિષ્યા હતાં. કચ્છ—તેરા મુકામે રતનબાઈનો આશ્રમ છે ત્યાં પણ ભાકર શાહનો ઓટલો જોવા મળે છે. કચ્છીમાં રચાયેલી તેમની કાફીઓ લોકકંઠે જળવાતી આવી છે.