તેમનો જન્મ, ધરાસણ (તા. સિદ્ધપુર, જિ. પાટણ) ગામે પિતા પૂંજીરામ અને માતા મેનાબાઈને ત્યાં થયો હતો. બચપણથી જ તેમને ભક્તિનો રંગ લાગ્યો હતો. તેમની આધ્યાત્મિક સાધના કાશીથી આવેલા બાવાઓની જમાતના ગુરુ સ્વામી તેજાનંદની દેખરેખમાં થઈ હતી. દિવસના ધરાસણ ગામે મજૂરી અને રાત્રે સિદ્ધપુર મુકામે નિજાનંદ સ્વામીની સેવા. તેમને ગુરુ ઉપદેશ નિજાનંદ સ્વામીએ આપ્યો તે પછી તે બહેચર સ્વામી તરીકે ખ્યાત થયા. તેમણે સમાજના લોકોને વ્યસનમુક્ત બનાવવાનું તેમ જ આધ્યાત્મિક ઉપદેશ આપવાનું કાર્ય કર્યું હતું. તેમણે ઈ. સ. ૧૯૩૩માં સિદ્ધપુરના રાવત રામજી મંદિરના આરામાં સમાધિ લીધી હતી. તેમની રચનાઓમાં ગુરુમહિમા અને અધ્યાત્મબોધ નિરૂપણ પામ્યા છે.