Arjun Bhagat Profile & Biography | RekhtaGujarati

અર્જુન ભગત

નિર્ગુણમાર્ગી સંતકવિ

  • favroite
  • share

અર્જુન ભગતનો પરિચય

અંકલેશ્વર તાલુકાના ગડખોલના કોળી જ્ઞાતિમાં 1856ની સાલમાં જન્મેલા સંતપુરુષ અરનદાસનું હૈયું નાનપણથી જ હરિભક્તિમાં એટલું ગાઢ રીતે અનુસ્યૂત હતું કે ગૃહસ્થાશ્રમ માંડ્યે પણ તેમનું જીવન ભગવદ્ભક્તિમાં ઓતપ્રોત રહ્યું. સુરતના નિરાંત ભગતના શિષ્ય રણછોડદાસ પાસેથી તેમણે ગુરુમંત્ર લીધેલો. સિદ્ધાંત પરત્વે તેઓ અજાતવાદી કે પરમાત્મવાદી હતા. અર્જુન ભગત ખગોળનું ઊંડું જ્ઞાન ધરાવતા હોવાથી તેમને ગાયકવાડ સરકારે ઊંચી નોકરી આપવાની તત્પરતા બતાવેલી, પણ તેમણે હરિલગની લાગેલી હોઈ વિનયપૂર્વક અસ્વીકાર કર્યો. 56 વર્ષનું આયખું સાર્થક કરી 1912માં તેઓ ચિરનિદ્રામાં પોઢ્યા. મહાદેવભાઈ દેસાઈએ ‘અરજુનવાણી’ નામના ગ્રંથમાં તેમનાં ભજનો પ્રગટ કર્યાં છે. તેમની સીધી, સાદી અને તળપદા શબ્દોથી ભરપૂર વાણી મુમુક્ષુના હૃદયમાં બાણની જેમ સોંસરી ઊતરી જતી એવી આત્માનુભવના માર્મિક અને સચોટ નિરૂપણયુક્ત છે.