Ardeshar Khabardar Profile & Biography | RekhtaGujarati

અરદેશર ખબરદાર

સદાકાળ ગુજરાતી કવિ

  • favroite
  • share

અરદેશર ખબરદારનો પરિચય

‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ – ગુજરાતીઓના કંઠે વસેલી આ કવિતા લખનારા અરદેશર ખબરદારનો જન્મ 6 નવેમ્બર, 1881માં દમણમાં થયો હતો. પિતાનું નામ ફરામજી. માતાનું નામ શિરીનબાઈ. તેમણે મૂળ અટક હિંગવાળામાંથી બદલીને પોસ્ટવાળા અને છેલ્લે ખબરદાર કરી. પાંચ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં માતા અને દાદા-દાદીએ તેમનો ઉછેર કર્યો હતો. દમણમાં પ્રાથમિક શિક્ષણ, મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ. મુંબઈમાં મરકીનો રોગચાળો ફેલાતા તેઓ દમણ પરત ફર્યા અને કૉલેજશિક્ષણથી વંચિત રહ્યા.

પીરોથબાઈ સાથે તેમણે 1898 લગ્ન કર્યા. આર. પટેલ ઍન્ડ કંપનીના નામે મોટર અને સાઇકલના સામાનનો ધંધો ચેન્નાઈમાં 1909માં શરૂ કર્યો. 1938માં ખોટને કારણે ધંધો આટોપી મુંબઈ પરત ફર્યા. 1951માં પાછા ચેન્નાઈ ગયા અને ત્યાં 30 જુલાઈ, 1953માં તેમનું અવસાન થયું.

અરદેશર ખબરદારને કવિતાઓમાં જે રસ જાગ્યો તેમાં તેમના માતા, પિતામહ કાવસજી, મામા કવિ રુસ્તમજી પેમાસ્તર, શિક્ષણશાસ્ત્રી જાલભાઈ ભરડા અને અધ્યાત્મગુરુ કુબેરદાસનો મોટો ફાળો હતો.

શૈક્ષણિક વર્ષો દરમિયાન ‘આલુ કવિ’ અને 1895માં ‘માસિક-મજાહ’ની કવિતાસ્પર્ધામાં ‘સો દૃષ્ટાંતિક દોહરા’ નામની તેમની કવિતા પ્રથમ આવતા ‘પારસી બૂચા કવિ’ તરીકે જાણીતા થયા.

19 વર્ષની ઉંમરે તેમણે દલપત શૈલીના આધારે ‘કાવ્યરસિકા’ નામનો પહેલો કાવ્યસંગ્રહ લખ્યો. ‘વિલાસિકા’(1905) નામનો પ્રકૃતિકાવ્યોનો સંગ્રહ નરસિંહરાવ દિવટિયાને અનુસરીને લખ્યો હતો. ‘પ્રકાશિકા’ નામના કાવ્યસંગ્રહના કેટલાંક ખંડકાવ્યો કાન્ત અને કલાપીની શૈલીનાં છે. દેશભક્તિને ધ્યાનમાં રાખીને 1919માં ‘ભારતનો ટંકાર’ નામનો કાવ્યસંગ્રહ લખ્યો.

તેમણે ન્હાનાલાલાની ડોલનશૈલીના ઉપહાસરૂપ પ્રતિકાવ્યો લખ્યા હતા. જે ‘પ્રભાતનો તપસ્વી’ અને ‘કુક્કુટદીક્ષા’(1920)ના નામથી પ્રકાશિત થયા. ‘સંદેશિકા’(1925) નામના કાવ્યસંગ્રહમાં દેશભક્તિનાં કાવ્યો છે. ‘કલિકા’ (1926) નામનું તેમનું દીર્ઘ પ્રેમકાવ્ય ‘બ્લૅન્ક વર્સ’ (અગેય પદ્યરચના) છે. ‘ભજનિકા’- (1928)માં પંચોતેર જેટલાં ભક્તિકાવ્યો છે. ન્હાનાલાલ અને બોટાદકરની શૈલીના 125 જેટલાં રાસ ‘રાસચંદ્રિકા’ ભાગ-1 (1929) અને ભાગ-2 (1941)માં સંગ્રહાયેલા છે.

કવિએ પુત્રી તેહમીનાના દુ:ખદ અવસાન બાદ ઝૂલણા છંદમાં ‘દર્શનિકા’(1931) લખી છે. જેમાં ધર્મ અને તત્વજ્ઞાનને લક્ષમાં રાખીને અધ્યાત્મજીવનના પ્રશ્નો અને પ્રેમનું વિવેચન કર્યું છે. 1940માં લખેલી ‘રાષ્ટ્રિકા’(1940)માં બલિદાનની પ્રેરણા આપતાં રાષ્ટ્રગીતો છે. ‘કલ્યાણિકા’ (1940) તત્વદર્શનયુક્ત ભક્તિકાવ્યોનો સંગ્રહ છે.

ઈરાનશાહ અને પારસીઓના ઇતિહાસને વર્ણવતું કાવ્ય ‘શ્રીજી ઈરાનશાહનો પવાડો’(1942) મરાઠી પોવાડા શૈલીમાં લખ્યું. એજ શૈલીમાં ગાંધીજીનો મહિમા ગાતું કાવ્ય ‘ગાંધી બાપુનો પવાડો’ (1948) લખ્યું છે. ‘ગાંધી બાપુ’(1948)માં એ જ પ્રકારનાં એકત્રીસ કાવ્યો છે.

‘નંદનિકા’(1944)માં ભગવાન પ્રત્યેના વિવિધ ભાવોને દર્શાવતાં ચૌદ પંક્તિઓનાં કાવ્યો છે. તેમનાં છેલ્લા કાવ્યસંગ્રહ ‘કીર્તનિકા’(1953)માં પ્રભુભક્તિનાં 75 કાવ્યો છે.

અદરેશર ખબરદારે અંગ્રેજીમાં પણ કાવ્યો લખ્યા છે. ‘ધ સિલ્કન ટેસલ’(1918)માં પ્રકૃતિ, જીવન અને કાવ્યદેવી અંગે છે. ‘જરથુષ્ટ્ર – ધ ફર્સ્ટ પ્રૉફેટ ઑવ્ ધ વર્લ્ડ’(1950)માં પયગંબર જરથુષ્ટ્ર વિશે સૉનેટ અને અન્ય કાવ્યો અંગ્રેજીમાં લખ્યા છે.

ગાથા વિશેના વિદ્વત્તાપૂર્ણ લેખો ‘અષો જરથુષ્ટ્રની ગાથાઓ પર નવો પ્રકાશ’ (1929) ના શીર્ષક હેઠળ ગુજરાતી ભાષામાં આપ્યો અને અંગ્રેજી અનુવાદ 1951માં કર્યો.

‘મલબારીનાં કાવ્યરત્નો’(1917)માં લાંબા અભ્યાસલેખ સાથે પસંદ કરેલાં કાવ્યો છે. ‘મનુરાજ અથવા વિશ્વનાટિકા’ નામથી શરૂ કરેલું નાટક પૂર્ણ કરી શક્યા નહીં. 1990માં તેનું સંપાદન ધર્મેન્દ્ર માસ્તરે કર્યું છે.

‘ધ રેસ્ટ હાઉસ ઑવ્ ધ સ્પિરિટ’ (1990), ‘ધ લીફ ઍન્ડ ફ્લાવર્સ’ અને ‘ધ માઇગ્રેટિંગ બર્ડ્ઝ’ તેમજ 1992માં ‘કવિ ખબરદારના પત્રો’ પણ પ્રકાશિત થયેલા છે.

ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનોમાં અને મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે આપેલાં ‘ગુજરાતી કવિતાની રચનાકળા’ પરનાં એમના પાંચ વ્યાખ્યાનો એમની વિદ્ધત્તાના સાક્ષી છે. 1931માં કવિ ખબરદારનો સુવર્ણ મહોત્સવ ઊજવાયો ત્યારે ‘સાહિત્ય’ અને ‘વીસમી સદી’ સામયિકોએ ખબરદાર અંકો પ્રકાશિત કર્યા હતા.

કવિ રચિત ‘ગુણવંતી ગુજરાત’ કાવ્ય અને ‘અમે હિંદી, હિંદી, હિંદી’ તથા  જેવી પંક્તિઓ લોકપ્રિય નીવડી છે.