anubhav aevo re - Pad | RekhtaGujarati

અનુભવ એવો રે

anubhav aevo re

નિરાંત નિરાંત
અનુભવ એવો રે
નિરાંત

અનુભવ એવો રે, અંતર જેને ઉદે થયો;

કૃત ટળ્યાં તેનાં રે, તેણે તેનો આત્મા લહ્યો. (ટેક)

આતમદરશી તેને કહીએ, આવરણ નહિ લગાર,

સર્વાતીત તે સર્વનો સાક્ષી, ખટ વિશ્વમાં નિરધાર;

તેથી પર પોતે રે, એકાએકી આપ રહ્યો. અનુ૦

વાત કોઈ વિરલા જાણે, કોટિકમાં કોઈ એક,

નામ વિનાની વસ્તુ નીરખે, અનુભવીનો વિવેક;

મુક્તપદ માટે રે, દ્વૈતભાવ તેને ગયો. અનુ૦

અદ્વૈતપદની ઇચ્છા નહીં, અણઇચ્છાયે થાય,

યથારથ પદ જેને કહીએ, જેમ ઉપજે તેમ જાય;

પ્રૌઢ પ્રવ્હાનો રે, સંસાર જાયે વહ્યો. અનુ૦

જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુરીયા, તુરીયાતીત પદ તેહ,

સ્થૂલ સૂક્ષ્મને કારણ કહીએ, મહાકારણથી પર જેહ;

પરાપર જે પરખે રે, જેને નેતિ નેતિ વેદે કહ્યો. અનુ૦

હંસ-હિતારથ જે જન કહીએ, તે જન સત્યસ્વરૂપ,

તે જનની જાવું બલિહારી, જે સદ્ગુરુનું રૂપ;

નિરાંત નામ નિત્ય રે, અનામી નામે ભર્યો. અનુ૦

સ્રોત

  • પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 321)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
  • પ્રકાશક : સાહિત્ય અકાદેમી
  • વર્ષ : 1998