સખી! સાંભળો મારી વાત
sakhii! saambhalo maarii vaat
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
સખી! સાંભળો મારી વાત, વહાલી હું કેમ થઈ રે;
મેં તો દીધાં દેહને દુઃખ, તમે દીધાં નહીં રે.
અમે તજ્યાં સંસારનાં સુખ, કે વનમાં જઈ રહી રે;
ચોમાસાના ચારે માસ વર્ષા શિર પર સહી રે.
કાર્તિક માસનાં હિમ, તેણે અંગ ઠારિયું રે;
ઉનાળાની અગન તેણે અંગ ૫રજળ્યું રે.
મેં કપાવ્યું મારું અંગ, સંઘાડે જઈ ચઢી રે;
છોલાવ્યો મારો વંક, તેણે થઈ પાધરી રે.
માંહે શાર પડાવ્યા સાત, વહાલાને વહાલી ઘણું રે;
અમને દોષ ન દેજો, માય! ભોગવે ભાગ્ય આપણું રે.
એવાં તપ શીખો, નર ને નાર! વાંસલડી એમ કહે રે;
નરસૈયો કહે : ના'વે સમતોલ્ય પ્રેમ હરિ-નામને રે.
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 78)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
