દયારામ
Dayaram
ઓરો આવની સલુણા પ્રભુ શામળા જો;
શીખ્યો આવડી કાંહાં સ્નેહશાસ્ત્રની કળા જો. ઓરો૦
મંત્ર મોહની રાખી છે તાહારી વૅણમાં જો;
વશીકરણ વિદ્યા વસાવી છે નૅણમાં જો. ઓરો૦
મંદ હસવું તારું કામણટુમણનું ભર્યું જો;
ચટકવાળી ચાલ તેણે માહારું મન ઠર્યું જો. ઓરો૦
ભૂરકી નાખવાની વિદ્યા ભ્રગુટીમાં ભરી જો;
તહારી કટાક્ષ-કટારી પડે સાંસરી જો. ઓરો૦
જુલમી જાદુવાળું રૂપ રસિક તાહરું જો;
જોતાં અંગ શીતળ થાએ માહરું જો. ઓરો૦
માહરો પ્રાણ તુંમાં પ્રોવાયો નિશદિન રહે જો;
માહરા કાલજડાનું દરદ કાં તું નવ લહે જો. ઓરો૦
માહારા સમ તુંને દેખું તારે જીવતી જો;
તાહરા વીજોગનું ભાન મુને રેહેતું નથી જો. ઓરો૦
એથી અધિક તો તને હવે શું કહું જો;
માહરું ચાલે તો મંદિરમાં રાખી રહું જો. ઓરો૦
અબળા આતુર બોલાવે દોડી તને જો;
ચતુર હોય તે તો પળમાં ૫રખે પ્રીતને જો. ઓરો૦
તું થા માહારો પ્રીતમ હું થાઉં તાહેરી જો;
વાહલા વાત કરતો રખે એ બાહેરી જો. ઓરો૦
આપણા સમાણાં માટે સંદેહ આવે કોઈને જો;
ચાલતાં લગી તો ડગલાં ભરીએ જોઈને જો. ઓરો૦
અભિલાખ એહવો ઉપજ્યો છે મુજને જો;
નવલ જોબન આ લે અર્પ્યું તુજને જો. ઓરો૦
રસિક વચન સુણી પ્રેમ પ્રગટ્યો નાથને જો;
નેત્ર નચાવીને તાળી લીધી હાથમાં જો. ઓરો૦
હું તું માટે તલપું છું સદા સુંદરી જો;
તું તો પ્રાણપ્યારી ચિંતા મારી તેં હરી જો. ઓરો૦
૫રસ્પર બંને આતુર હરખ્યાં ઘણાં જો;
જુગલ રૂપનાં લે દાસ દયો ભામણાં જો. ઓરો૦
સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 24)
- સંપાદક : ધીરુ પરીખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1995
