ઓ વ્રજનારી! શા માટે તું અમને આળ ચડાવે
o vrajnaarii! shaa maate tun amne aal chadave
દયારામ
Dayaram
દયારામ
Dayaram
ઓ વ્રજનારી! શા માટે તું અમને આળ ચડાવે?
પુણ્ય પૂરવ તણાં, તેથી પાતળિયો અમને લાડ લડાવે.
મેં પુરણ તપ સાધ્યાં વનમાં, મેં ટાઢતડકા વેઠ્યાં તનમાં,
ત્યારે મોહને મ્હેર આપી મનમાં. ઓ વ્રજનારી!
હું ચોમાસે ચાચર રહેતી, ઘણી મેઘઝડી શરીરે સહેતી,
સુખદુઃખ કાંઈ દિલમાં નવ લ્હેતી. ઓ વ્રજનારી!
મારે અંગે વાઢ વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા,
તે ઉપર છંદ પડાવિયા. ઓ વ્રજનારી!
ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌકોમાં શિરોમણિં કીધી,
દેહ અર્પી અર્ધ અંગે દીધી. ઓ વ્રજનારી!
માટે દયાપ્રીતમને છું પ્યારી, નિત્ય મુખથી વગાડે મુરારિ,
મારા ભેદગુણ દીસે ભારી! ઓ વ્રજનારી!
સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 58)
- સંપાદક : ધીરુ પરીખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1995
