o vrajnaarii! shaa maate tun amne aal chadave - Pad | RekhtaGujarati

ઓ વ્રજનારી! શા માટે તું અમને આળ ચડાવે

o vrajnaarii! shaa maate tun amne aal chadave

દયારામ દયારામ
ઓ વ્રજનારી! શા માટે તું અમને આળ ચડાવે
દયારામ

વ્રજનારી! શા માટે તું અમને આળ ચડાવે?

પુણ્ય પૂરવ તણાં, તેથી પાતળિયો અમને લાડ લડાવે.

મેં પુરણ તપ સાધ્યાં વનમાં, મેં ટાઢતડકા વેઠ્યાં તનમાં,

ત્યારે મોહને મ્હેર આપી મનમાં. વ્રજનારી!

હું ચોમાસે ચાચર રહેતી, ઘણી મેઘઝડી શરીરે સહેતી,

સુખદુઃખ કાંઈ દિલમાં નવ લ્હેતી. વ્રજનારી!

મારે અંગે વાઢ વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા,

તે ઉપર છંદ પડાવિયા. વ્રજનારી!

ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌકોમાં શિરોમણિં કીધી,

દેહ અર્પી અર્ધ અંગે દીધી. વ્રજનારી!

માટે દયાપ્રીતમને છું પ્યારી, નિત્ય મુખથી વગાડે મુરારિ,

મારા ભેદગુણ દીસે ભારી! વ્રજનારી!

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : ધીરુ પરીખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1995