કુબજાને કહેજો રે, ઓધવ! એટલું રે
kubjaane kahejo re, odhav aetlun re
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
કુબજાને કહેજો રે, ઓધવ! એટલું રે : હરિ-હીરો આવ્યો તારે હાથ;
જતન કરીને એને તું જાળવે રે, કહું એક શિખામણની વાત : કુ૦
૫રભાતે ઊઠીને પૂછજે રે, જે માગે તે આપજે તતખેવ;
બીજું તે કાંઈ ભૂધરને ભાવે નહીં રે, વહાલાને મહી-માખણની ટેવ. કુ૦
સેજ સમારજે પ્રભુજીની ફૂલડે રે, નિત્ય નિત્ય ધરજે નવલા રંગ;
ઝાઝો ન જગાડીશ જાદવરાયને રે, કોમળ કરમાશે એનું અંગ. કુ૦
શુક-સનકાદિક ને મુનિવર મોટા રે, કોઈ નવ લહે એનો પાર;
એને તે આઘો ઘડી નવ કીજીએ રે, ભોળી! મન મ આપીશ એંકાર. કુ૦
કંસની દાસી પેલી કુબજા રે, તેહનો શામળિયો ભરથાર;
નરસૈંયાનો સ્વામી તેણે વશ કર્યો રે, તેના પુણ્ય તણો નહિ પાર. કુ૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 82)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
