કહાનુડો છોગાળો સહુને મન વસ્યો રે
kahaanudo chhogaalo sahune man vasyo re
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
કહાનુડો છોગાળો સહુને મન વસ્યો રે, જે દિન નિરખ્યો જમુના-તીર;
અંગે તે ઓપે પીતાંબર પામરી, બાઈ! મારું પહેરણ નવરંગ ચીર. ક૦
ઝળહળ મોલીડું, મોહન મલપતો રે, કાને કુંડળ, કંઠે હાર;
મારે તે ચોળી નવરંગ ચમકતી હૈ, પાવલે ઝાંઝરનો ઝમકાર. ક૦
શામળિયો વજાડે સુંદર વાંસળી રે, અતિશે મીઠી મધુરી વાણ;
મોહન ભણી મેં જોયું ફરી રે, મારે તો બેડલાની થઈ હાણ. ક૦
ચિત્ત ચોર્યું છબીલે મારું છંદમાં રે, મારે તો જોબનિયાના દ(દિ)ન્ન;
જીવન જોવા મુને ચટપટી રે, નાગર નિરખ્યા તે ધન્ય ધન્ય. ક૦
ધન્ય ધન્ય ગોપી રે ગોકુળ ગામની રે, ધન્ય ધન્ય નૌતમ રાસ-વિલાસ,
ધન્ય ધન્ય લીલા રાધા-કૃષ્ણ તણી રે, ધન્ય ધન્ય ગાય નરસૈંયો દાસ. ક૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 80)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
