aa joni, aa kenun paglun? - Pad | RekhtaGujarati

આ જોની, આ કેનું પગલું?

aa joni, aa kenun paglun?

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
આ જોની, આ કેનું પગલું?
નરસિંહ મહેતા

(રાગ માલવ )

‘આ જોની, કેનું પગલું? પગલે પદ્મ તણું એંધાણ;

પગલા પાસે બીજું પગલું, તે રે સુહાગણ નૌતમ જાણ. આ૦

પૂરણ ભાગ્ય તે જુવતી કેરું, જે ગઈ વહાલાને સંગે,

એકલડી અધરરસ પીશે, રજની તે રમશે રંગે. આ૦

અડવડતી આખડતી ચાલે, દેહદશા ગઈ ભૂલી;

નિશ્ચે હરિ આવ્યા વનમાં, જોજો કુમુદિની ફૂલી.' આ૦

પૂછે કુંજલતા-દ્રુમવેલી: ‘કાંઈ દીઠડો નંદકુમાર?

વૃક્ષ તણી શાખા રહી ફૂલી, અભિષેક કીધો નિરધાર.’ આ૦

નયણે નીર ને પંથ નિહાળે, 'કહાન કહાન' મુખ બોલે બાલ;

ચાલી ચતુરા સરવ મળીને, વનમાં ખોળે નંદનો લાલ. આ૦

જોતાં જોતાં વનમાં આવ્યાં, દીઠી એક સાહેલી:

‘ધૂતારાનાં લક્ષણ જોજો, ગયો એકલડી મેલી.’ આ૦

દીઠો નાથ નવ, ગોપી આવ્યાં પાછાં જમુના-તીર;

રાસલીલા કીધી તે વારે, પ્રગટ્યા હળધર-વીર. આ૦

રાસ આરંભ્યો, સર્વ શ્યામા મળી, સુરિનરે 'જય જય’ કીધો;

ગોપીમાં હુતો. નરસૈંયો, પ્રેમ-સુધારસ પીધો. આ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997