wani mahima - Metrical Poem | RekhtaGujarati

વાણી મહિમા

wani mahima

દલપતરામ દલપતરામ
વાણી મહિમા
દલપતરામ

(મનહર છંદ)

પૃથિવી પ્રાણીની માતા પ્રાણીનું પોષણ કરે,

અન્ન પાણી વસ્ત્ર વસ્તુઓ અનેક આપે છે;

પણ વચ્ચે વાણીનો વિશેષ ઉપયોગ પડે,

વાણી કોટિ પ્રકારની હરકતો કાપે છે;

માગ્યા વિના માતા પણ સમજ્યા વિના શું આપે?

પામીએ જે સુખ તે તો વાણીના પ્રતાપે છે;

વાણીથી દરેક વસ્તુનું વિશેષ જ્ઞાન થાય,

વાણીથી સલીલ મહાસાગરનું માપે છે.

વાણીથી વિચાર એક બીજાના કહી શકાય,

જ્ઞાનવારસો તો વાણીમાં મુકી જવાય છે;

સેંકડો વરસ સુધી શોધી શોધી મેળવેલું,

પૂર્વજોનું જ્ઞાન તે તો વાણીથી પમાય છે;

પશુ પક્ષી પ્રાણીઓથી માણસો વિશેષ સુખ,

દુનિયામાં લે છે તે તો વાણીથી દેખાય છે;

ઈશ્વરનું જ્ઞાન પણ વાણી થી ઉપજે છે,

વાણી વિના પ્રાણી કેવા પામર જણાય છે?

જે વાણીથી અન્ન પાન માલ મીલકત પામ્યા,

તે વાણીને સ્નેહ ધરી સર્વદા સંભાળવી;

ભલાં ભલાં ભૂષણ ભૂષિત કરવી તે ભલી,

પૈસા ખરચીને પ્રીતે રૂડી રીતે પાળવી;

ગરીબ જાણીને અવગણના કદી કરો,

બની શકે તેમ તેની ગરીબાઈ ટાળવી;

કહે દલપતરામ દીલમાં મમતા રાખી,

આપણા ગજા પ્રમાણે અધિક ઉજાળવી.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 141)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008