jaldewtane balidan - Lokgeeto | RekhtaGujarati

જળદેવતાને બલિદાન

jaldewtane balidan

જળદેવતાને બલિદાન

બાર બાર વરસે નવાણ ગળાવ્યાં,

નવાણે નીર નો આવ્યાં જી રે.

તેડાવો જાણતલ તેડાવો જોશી,

જોશીડા જોશ જોવરાવો જી રે.

જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,

‘દીકરો ને વહુ પધરાવો જી રે.’

‘ઘોડા ખેલવતા વીર રે અભેસંગ!

દાદાજી બોલાવે જી રે.’

‘શું રે કો’છો મારા સમરથ દાદા,

શા કાજે બોલાવ્યા જી રે.’

‘જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,

દીકરો ને વહુ પધરાવો જી રે.’

‘એમાં તે શું મારા સમરથ દાદા,

પારકી જણીને પૂછી આવો જી રે.’

‘બેટડો ધરાવતાં વહુ રે વાઘેલી વહુ,

સાસુજી બોલાવે જી રે.’

‘શું રે કો’છો મારાં સમરથ સાસુ,

શા કાજે બોલાવ્યાં જી રે.’

‘જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,

દીકરો ને વહુ પધરાવો જી રે.’

‘એમાં તે શું મારા સમરથ સાસુ,

જે કેશો તે કરશું જી રે.’

***

ઊઠોને રે, મારા નાના દેરીડા!

મૈયર હું મળી આવું જી રે.

અઘેરાંક જાતાં જોશીડો મળિયો,

ક્યાં વાઘેલી વહુ ચાલ્યાં જી રે!

ખરે બપોરે મરવાનાં કીધાં,

મૈયર હું મળી આવું જી રે!

મરવાનાં હોય તો ભલે રે મરજો,

એનાં વખાણ નો હોયે જી રે!

ભાઇ રે જોશીડા!વીર રે જોશીડા!

સંદેશો લઇ જાજે જી રે!

મારી માતાજીને એટલું કે’જે,

મોડીઓ ને ચૂંદડી લાવે જી રે!

ઊઠોને રે, મારા સમરથ જેઠાણી!

ઊનાં પાણી મેલો જી રે.

‘ઉઠોને રે મારાં સમરથ દેરાણી,

માથાં અમારા ગૂંથો જી રે.’

‘ઉઠોને રે મારાં સમરથ દેરી,

વેલડિયું શણગારો જી રે.’

‘ઉઠોને રે મારાં સમરથ નણદી

છેડાછેડી બાંધો જી રે.’

‘ઉઠોને રે મારાં સમરથ સસરા,

જાંગીનાં (ઢોલ) વગડાવો જી રે.’

‘આવો આવો મારા માનસંગ દીકરા

છેલ્લા ધાવણુ ધાવો જી રે.’

‘પૂતર જઈને પારણે પોઢાડ્યો,

નેણલે આંસુડાંની ધારું જી રે.’

‘ઝાંઝ પખાજ ને જંતર વાગે,

દીકરો ને વહુ પધરાવે જી રે!’

‘પાછું વળી જોજો અભેસંગ દીકરા,

ઘોડલા કોણ ખેલશે જી રે.’

‘ઈ રે શું બોલ્યા સમરથ બાપુ,

નાનો ભાઈ ખેલવશે જી રે.’

‘પાછું વળી જોજો વહુ રે વાઘેલી વહુ,

પૂતર કોને ભળાવ્યા જી રે.’

‘કોણ ધવરાવશે, કોણ રમાડશે,

કેમ કરી મોટા થાશે જી રે?’

‘દેરાણી ધવરાવશે, નણદી રમાડશે,

જેઠાણી ઉઝેરશે જી રે.’

પહેલે પગથિયે જઈ પગ દીધો,

પાતાળે પાણી ઝબક્યાં જી રે.

બીજે પગથીયે જઈ પગ દીધો,

કાંડા તે બૂડ પાણી આવ્યાં જી રે.

ત્રીજે પગથિયે જઈ પગ દીધો,

કડ્ય કડ્ય સમાં નીર આવ્યાં જી રે.

ચોથે પગથિયે જઈ પગ દીધો,

છાતી સમાં નીર આવ્યાં જી રે.

પાંચમાં પગથિયે જઈ પગ દીધો,

પરવશ પડિયા પ્રાણિયા જી રે.

‘એક હોંકારો દ્યો રે અભેસંગ,

ગોઝારાં પાણી કોણ પીશે જી રે?’

‘પીશે તે ચારણ, પીશે તે ભાટો,

પીશે અભેસંગનો દાદો જી રે.’

‘એક હોંકારો દ્યો રે વાઘેલા વહુ,

ગોઝારાં પાણી કોણ પીશે જી રે?’

‘પીશે તે વાણિયાં, પીશે તે બ્રાહ્મણ,

પીશે વાળુભાનાં લોકો જી રે.’

તરી છે ચૂંદડી ને તર્યો છે મોડિયો,

તર્યાં અભેસંગનાં મોળિયાં જી રે.

ગાતાં ને વાતાં ઘરમાં આવ્યાં,

ઓરડા અણોસરા લાગે જી રે!

વા’લાં હતાં તેને ખોળે બેસાર્યાં,

દવલાંને પાતાળ પૂર્યાં જી રે!

સ્રોત

  • પુસ્તક : રઢિયાળી રાત (પૃષ્ઠ ક્રમાંક 323)
  • સંપાદક : ઝવેરચંદ મેઘાણી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2017