wisam sanwedan - Ghazals | RekhtaGujarati

વિસમ-સંવેદન

wisam sanwedan

સ્નેહલ જોષી સ્નેહલ જોષી
વિસમ-સંવેદન
સ્નેહલ જોષી

શબ્દો વગરના કોઈ અવાચકનું મૌન છે.

તારી ઉદાસ આંખમાં ચાતકનું મૌન છે.

તૂટી જશે પળવારમાં લાંબુ નહીં ટકે;

જાણું છું એના હોઠ પર નાહકનું મૌન છે.

એવા પિતાને ધન્ય છે કે જેની ગોદમાં;

નવજાત એવા કોઈ એક બાળકનું મૌન છે.

ભાવક તો મૌન થાય છે વાંચ્યા પછી ગઝલ;

સર્જનની પૂર્વ ક્ષણના સર્જકનું મૌન છે.

એને તમે ક્યારેય પણ તોડી શકો નહીં;

એકાંત પી ગયેલા વિચારકનું મૌન છે.

સ્રોત

  • પુસ્તક : સૂર્યનો સંદર્ભ (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સર્જક : સ્નેહલ જોષી
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2010