
હતું તારું સૌંદર્યં સંપૂર્ણ એવું,
કે પર થઈ જગતથી તને પર સમજતે;
નથી જ્યારે તું પોતે તારી બરાબર,
પછી કોને તારી બરાબર સમજતે?
વિરહમાં વધુ શું હો એથી દિલાસો,
કે કરતા હો એ ખુદ મિલનના પ્રયાસો;
જુદાઈ જો એવી મુકદ્દરમાં હોતે,
મિલનનો અમે એને અવસર સમજતે.
મને તું અગર હાથમાં હાથ દેતે,
ગમે તે દિશા હોત ચાલી નીકળતે;
જે પથ્થર વિસામાના રસ્તામાં મળતે,
એ પથ્થરને પથ્થર નહીં ઘર સમજતે.
વિરહમાં તમારા એ કોમળ વદનમાં,
ઘણા રંગ હું કલ્પનાના ભરું છું;
ન હોતે જુદાઈ તો કઈ વાત ઉપર,
તમારાથી પણ તમને સુંદર સમજતે.
ન સોબત કોઈ માર્ગદર્શકની કરતે,
ન મંજિલની ભ્રમણામાં ચોગમ ભટકતે;
જે તારા જ પંથે ફક્ત બેસી રહેતે,
અમે તેને સાચો મુસાફર સમજતે.
જતે કાં ન નિષ્ફળ નજૂમીની મહેનત,
હતું ભાગ્ય મારું તો તારાં ચરણમાં;
પછી હસ્ત-રેખાનું ચિંતન કરીને,
એ કઈ રીતે મારું મુકદ્દર સમજતે?
કહે સૌ છે ન્યારી મહોબતની લીલા,
છે ‘આસિમ’ની ‘લીલા’માં કુદરતની લીલા;
તમે આમ ‘લીલા’ને જો ન્યાય દેતે,
અમે તમને ‘લીલા’ના શાયર સમજતે.



સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 58)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
- વર્ષ : 2002
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ