દુશ્મન નથી
dushman nathii
નઝર તુરાવા
Najhar Turava

આ સ્થિતિ કાયમ રહી તો જીવવાનું મન નથી,
માનવી જાણે કે કુદરતનું હવે સર્જન નથી!
આમ તો છે કલ્પનામાં ઉડ્ડયન આકાશ પર,
ને અહીં તો ચાલવાને વાસ્તવિક સાધન નથી.
કંઈ હજારો ‘હા' અને ‘ના'ના બધા ઝઘડા મહીં,
તારી એક ‘હા' પર તો મુજ જીવનનું અવલંબન નથી.
આ પ્રણયની જો પરાકાષ્ઠા નહિ તો શું હશે?
ક્યાં નથી મારી નજર! ક્યાં આપનાં દર્શન નથી?
હોય છે સુખના સમયની એ હકીકત પણ ‘નઝર',
આખા જગમાં કોઈ જાણે આપણું દુશ્મન નથી.



સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 122)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
- વર્ષ : 2002
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ