jo koi mane puchhe; taru aa jivan kan badlai gayu? - Ghazals | RekhtaGujarati

જો કોઈ મને પૂછે; તારું જીવન કાં બદલાઈ ગયું?

jo koi mane puchhe; taru aa jivan kan badlai gayu?

દિલહર સંઘવી દિલહર સંઘવી
જો કોઈ મને પૂછે; તારું જીવન કાં બદલાઈ ગયું?
દિલહર સંઘવી

જો કોઈ મને પૂછે; તારું જીવન કાં બદલાઈ ગયું?

હું ટૂંકો ઉત્તર વાળું છું : ભોળું હૈયું લલચાઈ ગયું!

હરરોજ મુકદ્દર કરતું'તું બહુ મમતાથી સ્વાગત મારું.

જ્યાં ડગ દીધા ત્યાં કાંટાનું એક પાથરણું પથરાઈ ગયું.

હૈયામાં હોળી બળતી'તી, બે આંખ હંમેશાં ગળતી'તી,

ફાગણ-શ્રાવણની પૂનમનું એક સાથ પરવ ઉજવાઈ ગયું!

તેઓને હસતાં દેખીને ના રોઈ શકાયું મારાથી,

દુખિયા દિલને સંતોષ થયો : ટાણું તો સરસ સચવાઈ ગયું.

પૂછો વિદ્વતજનને પૂછો; શું અર્થ ફરી ગ્યા શબ્દોના?

ચાર દિવસનું ચાંદરણું કાં દી' ઊગતાં સંતાઈ ગયું?

નહીં તો પ્રણયની ગાથા તો એક નાની સરખી વાત હતી,

પણ બખિયા ભરવા બેઠો ત્યાં ઝીણું ઝીણું કંતાઈ ગયું.

જીવનની સફળતાનો છૂપો ઇતિહાસ તમે એને પૂછો-

શાખ જનાઝો પૂરે છે, આંસુથી કફન ભિંજાઈ ગયું.

ક્યારેક મિલનની મોજ-મઝા, ક્યારેક વિરહની લાખ વ્યથા,

લો બે શબદમાં જીવનનું પુસ્તક આખું વંચાઈ ગયું.

દિલહર મારું મૃત્યુ તો એક સીધી સાદી વાત હતી,

થાકેલ ઉતારું જાણે કે ઝોલું લેવા લંબાઈ ગયું!

સ્રોત

  • પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 161)
  • સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
  • વર્ષ : 2024
  • આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ