shankar nahin aawe - Ghazals | RekhtaGujarati

શંકર નહીં આવે

shankar nahin aawe

જલન માતરી જલન માતરી
શંકર નહીં આવે
જલન માતરી

દુઃખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે,

હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે.

છે મસ્તીખોર કિન્તુ દિલનો છે પથ્થર નહીં આવે,

સરિતાને કદી ઘરઆંગણે સાગર નહીં આવે.

ચમનને આંખમાં લઈને નીકળશો જો ચમનમાંથી,

નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.

અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે કયામતમાં,

તને જોઈ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.

દુઃખો આવ્યાં છે હમણાં તો ફકત બેચાર સંખ્યામાં,

ભલા શી ખાતરી કે પછી લશ્કર નહીં આવે.

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,

જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,

લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.

કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,

‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઈશ્વર નહીં આવે.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 205)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007