ઈશ્વર જો તારાં મૌનની સીમા નહીં રહે
ishwar jo taaraan maunnii siimaa nahiin rahe

ઈશ્વર જો તારાં મૌનની સીમા નહીં રહે
ishwar jo taaraan maunnii siimaa nahiin rahe
મુકેશ જોગી
Mukesh Jogi

ઈશ્વર જો તારાં મૌનની સીમા નહીં રહે,
જીવન હશે છતાં જિજીવિષા નહીં રહે.
મારી મને કરાવી દે ઓળખ તું એકવાર,
આ જીવને પછી કશી દ્વિધા નહીં રહે.
મેઢકનો જાય જીવ રમત થાય કાગને,
જો દેડકો નહીં રહે ક્રીડા નહીં રહે.
નિર્માણ બૂંદથી છે, તો નિર્વાણ ખાખ છે,
સમજાય સૌને આટલું દીક્ષા નહીં રહે
તું સૂર્ય છે તો, એય પણ તારો જ અંશ છે,
ઇજ્જત થશે લીલામ જો દીવા નહીં રહે.
બસ એ જ ડરથી હું હવે લખતો નથી કશું
કવિતા રચાઈ જાશે તો પીડા નહીં રહે.
'જોગી' સમય આ એક સરીસૃપ છે છતાં,
કિસ્સા નહીં રહે, અને લીટા નહીં રહે.



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ