jigarno yar - Ghazals | RekhtaGujarati

જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે;

બધા સંસારથી યાર, બેદરકાર જુદો છે.

અરે શું જાણશે લઝ્ઝત, પવિત્રીમાં પડી રહેતાં;

પ્રિયાની પ્યાલીની મસ્તી તણો કંઈ બ્હાર જુદો છે.

ગણું ના રાવ રાયાને, ગણું ના આખી દુનિયાને;

પરંતુ જાન પર પ્યારીનો, અખ્ત્યાર જુદો છે.

હજારો બોધ મંદિરો મહીં નિત્યે ભલે થાજો;

અમે મસ્તાનના ઉસ્તાદનો દરબાર જુદો છે.

નથી તુજ બાપ માર્યો મેં, અરે મૂર્ખા કહાં નિંદે;

સમજ રે બેસમજ કે, પ્રેમીનો આચાર જુદો છે.

બધા પરકાર તોફાને થઈ ચંચળ ચૂકે નિશાન;

અમારા ચિત્તને ચારુ અચળ પરકાર જુદો છે.

લીધો જે પંથ તે હું કેમ ત્યાગું છો ભર્યો દુઃખે,

પ્રિયાનો માહરી ગરદન ઉપર તો ભાર જુદો છે.

ઘડીભર બેશ બતલાવું શિખાવું પ્રેમનો જાદૂ;

અમો જાદૂગરોનો યાર, જો બાઝાર જુદો છે.

શીખે જો પ્રેમ પૂરો તો અચળ અભેદ પામે તું;

નથી ત્યાં પ્રેમ જ્યાં છે ભેદ, વ્યવહાર જુદો છે.

થશે શ્રીમંત ઇન્દ્રાદિ થકી, મુજ પંથ પર જાશે;

અરે કીમિયાનો યાર, જો કંઈ બહાર જુદો છે.

કરું શું મોતીમાલા હું? અનુપમ મારી પ્યારીએ,

કર્યો નક્ષત્રનો મારે ગળે શણગાર જુદો છે.

ભલે છો માહરા પંથે બધા દુઃખને દેખે;

મને તો સુખસાગર લહેરીનો કંઈ બહાર જુદો છે.

થયો જે પ્રેમમાં પૂરો, થયો છે મુક્ત સર્વેથી;

મહા મસ્તાન જ્ઞાનીના મગજમાં તાર જુદો છે.

નજર મારી પ્રિયા વિના, દેખે જગત આખે;

બીજાના બંધકારી પ્રેમનો તો જાર જુદો છે.

ગુરુઆદેશ છે અમને, અવળ પંથે પળ્યા જઈએ;

દુનિયાથી પછી ‘બાલ’ બેદરકાર જુદો છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1942