prasthaan - Geet | RekhtaGujarati

જ્યારે અંધારાં પથરાય,

રે રે અભાગી, અંધારાં પથરાય;

ત્યારે કોણ વૈરાગી, મહેલને ત્યાગી, વિજનપંથે જાય?

એને ના અંધારા અથડાય?

જ્યારે શેરીઓ સૂની ખાય,

રે રે અભાગી, શેરીઓ સૂની ખાય;

ત્યારે કોણ ઉલ્લાસે, જાણે રાસે રમવા આભે જાય?

એને ના શેરીઓ સૂની ખાય?

જ્યારે વાવાઝોડાં થાય,

રે રે અભાગી, વાવાઝોડાં થાય;

ત્યારે કોણ છોડી, નાવડી જોડી, સાગરમધ્યે જાય?

એને ના વાયરા વેરી થાય?

જ્યારે દુનિયા ડૂલી જાય,

રે રે અભાગી, દુનિયા ડૂલી જાય;

ત્યારે કોણ વંકો, વિજયડંકો, ઢોલકે દેતો ગાય?

એને ના કાળ શું કોરી ખાય?

સ્રોત

  • પુસ્તક : પરિવંદના (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સર્જક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર
  • વર્ષ : 1976