પ્રસ્થાન
prasthaan
સોમાભાઈ ભાવસાર
Somabhai Bhavsar

જ્યારે અંધારાં પથરાય,
ઓ રે ઓ રે ઓ અભાગી, અંધારાં પથરાય;
ત્યારે કોણ વૈરાગી, મહેલને ત્યાગી, વિજનપંથે જાય?
એને ના અંધારા અથડાય?
જ્યારે શેરીઓ સૂની ખાય,
ઓ રે ઓ રે ઓ અભાગી, શેરીઓ સૂની ખાય;
ત્યારે કોણ ઉલ્લાસે, જાણે રાસે રમવા આભે જાય?
એને ના શેરીઓ સૂની ખાય?
જ્યારે વાવાઝોડાં થાય,
ઓ રે ઓ રે ઓ અભાગી, વાવાઝોડાં થાય;
ત્યારે કોણ એ છોડી, નાવડી જોડી, સાગરમધ્યે જાય?
એને ના વાયરા વેરી થાય?
જ્યારે દુનિયા ડૂલી જાય,
ઓ રે ઓ રે ઓ અભાગી, દુનિયા ડૂલી જાય;
ત્યારે કોણ એ વંકો, વિજયડંકો, ઢોલકે દેતો ગાય?
એને ના કાળ શું કોરી ખાય?



સ્રોત
- પુસ્તક : પરિવંદના (પૃષ્ઠ ક્રમાંક 57)
- સર્જક : સોમાભાઈ ભાવસાર
- પ્રકાશક : શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર
- વર્ષ : 1976