premal jyoti - Geet | RekhtaGujarati

પ્રેમળ જ્યોતિ

premal jyoti

નરસિંહરાવ દિવેટિયા નરસિંહરાવ દિવેટિયા
પ્રેમળ જ્યોતિ
નરસિંહરાવ દિવેટિયા

પ્રેમળ જ્યોતિ તારો દાખવી

મુજ જીવન-પંથ ઉજાળ. (ધ્રુવ.)

દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર,

માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ,

મારો જીવન-પંથ ઉજાળo

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો જાય,

દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય,

મારે એક ડગલું બસ થાય.

આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ લગાર,

આપ-બળે માર્ગ જોઈને ચાલવા હામ ધરી મૂઢ બાળ,

હવે માગું તુજ આધાર.

ભભકભર્યાં તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ,

વીત્યાં વર્ષોને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વ,

મારે આજ થકી નવું પર્વ.

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમભેર,

નિશ્ચે મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર,

દાખવી પ્રેમળ જ્યોતિની સેર.

કર્દમભૂમિ કળણભરેલી, તે ગિરિવર કેરી કરાડ,

ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ,

મને પહોંચાડશે નિજ દ્વાર.

રજની જશે ને પ્રભાત ઊજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ,

દિવ્ય ગણોનાં વદન મનોહર મારે હૃદય વસ્યાં ચિરકાળ,

જે મેં ખોયાં હતાં ક્ષણવાર.

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 1 (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973