be manjiran - Geet | RekhtaGujarati

મારે રુદિયે બે મંજીરાં:

એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં....

કૃષ્ણકૃષ્ણના રસબસ રણકે

પડે પરમ પડછન્દા;

એક મંજીરે સૂરજ ઝળહળ,

બીજે અમિયલ ચન્દા.

શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા...

રાસ ચગ્યો ને હૈડાહોંશે

હાથની કીધી મશાલ;

વિષનો પ્યાલો હોઠ પામીને

નરદમ બન્યો નિહાલ,

હરિનાં જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીર....

મારે રુદિયે બે મંજીરાં.

સ્રોત

  • પુસ્તક : શબ્દનું સાત ભવનું લેણું છે (પૃષ્ઠ ક્રમાંક 117)
  • સંપાદક : રવીન્દ્ર પારેખ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2009