પવન અને તારો
pavan ane taaro
ચંદુલાલ મણિલાલ દેસાઈ
Chandulal Manilal Desai

પવનિયા! ઇચ્છિત જોમે વાજે,
નહીં આ તારલિયો બૂઝાશે,
ત્હારી મૂર્ખાઈ પર મલકાશે,
એને ભીતિ ના કાંઈએ.
એ છે શૂરા હૈયા વાળો,
નહીં એ જગજનસમ રોનારો,
નહીં જે કો’થી પણ બ્હીનારો,
તે શૂં ત્હારાથી બ્હીશે!
ભલે તૂં ચીસો પાડી દોડે,
ભલે તૂં વન ગામો ઉખેડે,
ભલે તૂં ભડગિરિશૃંગો તોડે,
તદપિ જરીએ ના ડગશે.
અહર્નિશ પ્રભુગીતે મચનારો,
છે એ દિવ્ય મનોબળ વાળો,
તેથી એ ગગને ઘુમનારો,
નહીં તૂચ્છ ભયે ડરશે.
મને તવ શક્તિ તારા! દેજે,
નહીં પછી તોફાની ભય રે’શે,
દિન નિશ પ્રભુ-ગીતે ચિત વ્હેશે,
આત્મ અનન્તમાં રમશે.



સ્રોત
- પુસ્તક : ટહુકાર (પૃષ્ઠ ક્રમાંક 132)
- સર્જક : ચન્દુલાલ મણીલાલ દેસાઈ ‘વસન્તવિનોદી’
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1919