jiwannan jal - Geet | RekhtaGujarati

જીવનનાં જળ

jiwannan jal

સુધાંશુ સુધાંશુ
જીવનનાં જળ
સુધાંશુ

આપણે પાણી નથી નોખાં ને

જીવન આપણાં ભેળાં;

વેળાવેળાની છાંયડી આવી,

નોખાં પડ્યાં સંચોડાં;

જીવન આપણાં ભેળાં.

કોઈ બિન્દુ ને કી થ્યાં ઝરણાં

કી સિંધુનાં લ્હેરાં;

કોઈ ગગનના ઘનમાં વ્યાપી

ફરતં વર્ષા ફેરા;

જીવન આપણાં ભેળાં

છીપ-મોતીનાં પાણી ગણાયાં

મરદાઈએ મરકેલાં;

જ્યાં જ્યાં રે જીવન–

ત્યાં ત્યાં સંજીવન

ઝળક્યાં જળ અકેલાં;

જીવન આપણાં ભેળાં.

આતમનીર અગાધ ને

એને નિરવધિ હારે નેડા

એક નિરંજન નાથનાં એને

આવતાં નિતનાં તેડાં;

જીવન આપણાં ભેળાં.

સ્રોત

  • પુસ્તક : સોહમ્ (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સર્જક : દામોદર ભટ્ટ ‘સુધાંશુ’
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1960