harinan darshan - Geet | RekhtaGujarati

મારાં નયણાંની આળસ રે, નીરખ્યા હરિને જરી;

એક મટકું માંડ્યું રે, ઠરિયાં ઝાંખી કરી.

શોક-મોહના અગ્નિ રે તપે, તેમાં તપ્ત થયાં;

નથી દેવનાં દર્શન રે કીધાં, તેમાં રક્ત રહ્યાં.

પ્રભુ સધળે વિરાજે રે, સૂજનમાં સભર ભર્યાં;

નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યા.

નાથ ગગનના જેવા રે, સદા મને છાઈ રહે;

નાથ વાયુની પેઠે રે, સદા મુજ ઉરમાં વહે.

જરા ઊઘડે આંખલડી રે, તો સન્મુખ તે સદા;

બ્રહ્મ બ્રહ્માંડ-અળગા રે, ઘડીયે થાય કદા.

પણ પૃથ્વીનાં પડળો રે, શી ગમ તેને ચેતનની?

જીવે સો વર્ષ ઘુવડ રે, ગમ તેાયે કંઈ દિનની,

સ્વામી સાગર સરીખા રે, નજરમાં માય કદી;

જીભ થાકીને વિરમે રે, ‘વિરાટ’ ‘વિરાટ’ વદી,

પેલાં દિવ્ય લોચનિયાં રે, પ્રભુ! ક્યારે ઊઘડશે?

આવાં ઘોર અંધારાં રે, પ્રભુ! ક્યારે ઊતરશે?

નાથ! એટલી અરજી રે, ઉપાડો જડ પડદા;

નેનાં! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.

આંખ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી;

એક મટકું તો માંડો રે, હૃદય ભરી નીરખો હરિ.

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 2 (પૃષ્ઠ ક્રમાંક 99)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973